________________
૩૪૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૪૧ નાખે. એટલે એ વચનસિદ્ધિ કહેવાય જ્ઞાનીઓની. પણ તે વ્રત આપે નહીં કોઈને, આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એની ચોગરદમનો ટેસ્ટ કરી પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય. એ અપાય એવું નથી, એ આપવા જેવી ચીજ નથી.
પણ આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચનકાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય ? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને ?!
આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓ ય તૈયાર થાય છે. એમનાં મોઢા ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડર ચોપડવાની જરૂર નહીં રહે. હે ય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય !!! આ તો વીતરાગ વિજ્ઞાન છે, એટલે એમ ને એમ સિંહ જેવો દેખાય. હજુ આ લોકો કંઈ સિંહ જેવા મને તો નથી દેખાતા, પણ એ લોકોનો પુરુષાર્થ જોરદાર છે ને ! ને સાચો પુરુષાર્થ છે, એટલે એ આવી જ જાય. બધું પ્રાપ્ત થઈ શકે અને પાછું જ્ઞાન સાથે પ્રાપ્ત થાય !!!
આવું જો કોઈ બ્રહ્મચર્ય પાળે ને એમનાં દર્શન કરે તો ય કલ્યાણ થઈ જાય. કારણ કે જ્ઞાની છે અને જોડે બ્રહ્મચારી છે, બે સાથે છે. એમને કેટલો આનંદ વર્તે છે ! ! જરા ય આનંદ ઓછો થતો નથી.
પ્રશ્નકર્તા : આ લોકો પરણવાની ના પાડે છે, તો એ અંતરાય કર્મ ના કહેવાય ?
દાદાશ્રી : આપણે અહીંથી ભાદરણ જઈએ, તેથી કરીને આ બીજા ગામ જોડે આપણે અંતરાય પાડ્યા ? એને જ્યાં અનુકુળ આવે, ત્યાં એ જાય. અંતરાય કર્મ તો કોને કહેવાય કે તમે છે તે કોઈકને કશુંક આપતા હો, ને હું કહું કે ના, એને આપવા જેવું નથી. એટલે મેં તમને આંતર્યા, તો મને ફરી એવી વસ્તુ મળે નહીં. મને એ વસ્તુના અંતરાય પડે.
એમાં કર્મબંધના નિયમો ! પ્રશ્નકર્તા : જો બ્રહ્મચર્ય જ પાળવું હોય તો, એને કર્મ કહી શકાય ?
દાદાશ્રી : હા, એને કર્મ જ કહેવાય ! એનાથી કર્મ તો બંધાય ! જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ કહેવાય ! એ પછી બ્રહ્મચર્ય હોય કે અબ્રહ્મચર્ય હોય. બ્રહ્મચર્યની પુણ્ય બંધાય અને અબ્રહ્મચર્યનું પાપ બંધાય !
પ્રશ્નકર્તા: કોઈ બ્રહ્મચર્યની અનુમોદના આપતું હોય, બ્રહ્મચારીઓને પુષ્ટિ આપે, એમના માટે બધું. બધી રીતે એમને રસ્તો કરી આપે, તો એનું ફળ શું ?
દાદાશ્રી : ફળને આપણે શું કરવું છે ? આપણે એક અવતારી થઈને મોક્ષમાં જવું છે, હવે ફળને ક્યાં રાખવાં ? એ ફળમાં તો સો સ્ત્રીઓ મળે, એવાં ફળને આપણે શું કરવાનાં ? આપણે ફળ જોઈતું નથી. ફળ ખાવું જ નથી ને હવે !
એટલે મને તો એમણે પહેલેથી પૂછી લીધેલું, ‘આ બધું કરું છું, તે મારી પુણ્ય બંધાય ?” મેં કહ્યું, ‘નહીં બંધાય.’ અત્યારે આ બધું ડિસ્ચાર્જ રૂપે છે અને બીજ તો બધાં શેકાઈ જાય છે.
આ જવાન સ્ત્રી, જવાન પુરુષો બ્રહ્મચર્ય વ્રત લે છે. તો એમને કેવું સુખ વર્તતું હશે ? કે આમાંથી છૂટવાનાં ભાવ થાય છે ? આ બધાં છોકરાઓને કેવું સુખ વર્તતું હશે ? આવાં પાંચ જ છોકરાઓ તૈયાર થઈ જાય તો, તે આખા હિન્દુસ્તાનમાં બધે ફરી વળે, દરેક મોટાં શહેરમાં ફરી વળે, તો બધું બહુ કામ થઈ જાય. કોઈ જગ્યાએ ભાવબ્રહ્મચર્ય ના હોય. બહારના લોકો જે બ્રહ્મચર્ય પાળે છે તે ય વચનનું અને કાયાનું, મનનું નહીં. આત્મજ્ઞાન સિવાય મનનું બ્રહ્મચર્ય ના રહે. એટલે આપણું આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે, દરઅસલ વિજ્ઞાન છે. આ તો આશ્ચર્ય કહેવાય !