________________
આપ્તવાણી-૨
૨૯૫
મત
નિર્વિકલ્પ સમાધિ થાય. જયાં કંઇ પણ ત્યાગ-ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે. મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં, વિકલ્પ એક ના હોય પણ પાર વગરના હોય. શિષ્યો જોડે કડક થાય તે ય વિકલ્પ.
જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને ‘દર્શન’ કહેવાય, જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં. કેટલાકને તો જોતાં જ ઊલટી થાય, માલ જ એવો ! પણ જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં દર્શન કહેવાય. આ અમારા બધાં દર્શન શાથી કર્યા કરે છે ? આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે, એ સમાધિ તો કેવી છે ? એને તમે કાઢો તો ય જાય નહીં ! એ સમાધિને કહીએ કે, “હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઇ આવ.” તો એ કહેશે, “ના, આ સાસરી વગર મને નહીં ફાવે.’ સમાધિને કહીએ કે, ‘આ દેહને જરા ડખો કરાવવો છે, માટે તું જાને !' તો એ કહેશે કે, ‘પહેલાં કહેવું હતું ને ! હવે એ ના બને.’ હવે તો સહજ સમાધિ કાઢે તો ય ના જાય, હવે તો ‘ખાય પીએ, ઊઠે બેસે, તેને જુએ જ્ઞાનાકાર.”
ભગવાને કહ્યું, ‘જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે.
આઠ મિનિટ મન, વચન, કાયા જેને બંધ થઇ જાય તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાલીસ મિનિટ રહે તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઇને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક છે.
‘ભગવાન અંગે ભાષીઓ, સામાયિક અર્થ,
સામાયિક પણ આતમા, ધરે સીધો અર્થ.”
સામાયિકનો અર્થ તો ભગવાને કહ્યો છે. ‘સામાયિક એ જ આત્મા ને આત્મા એ જ સામાયિક.’
પ્રશ્નકર્તા : મન એકેન્દ્રિય જીવમાં હોય ?
દાદાશ્રી : ‘એકેન્દ્રિયને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કશું ય ના હોય. જેને પાંચ ઇન્દ્રિયો હોય, પાંચ ઇન્દ્રિયોનું પુણ્ય ભેગું થાય, તેને મન ઉત્પન્ન થાય. આ પાંચ ઇન્દ્રિયોમાં પાછાં આ ગાય, ભેંસ, આકાશમાં ઊડનારાં ખેચર, એમને મન સીમિત હોય, લિમિટમાં હોય, લિમિટની બહાર જાયને તો તો વાંદરા ઘરમાં રહેતા હોત ને પોલીસ-બોલીસ બધાંને બચકાં ભરી ખાત, પણ તેમને મન લિમિટમાં હોય.
પ્રશ્નકર્તા : એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં મનનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે ?
દાદાશ્રી : જેમ જેમ ડેવલપમેન્ટમાં આગળ વધે છે તેમ તેમ આવરણો ઘટે છે ને પ્રકાશ વધતો જાય અને તેમ વધારે જોતો જાય છે.
જેને નાકની તીવ્રતા હોય તે ત્રણ ઇન્દ્રિયમાં છે, આંખનો ચસ્કો લાગ્યો હોય તે ચાર ઇન્દ્રિયમાં ને કાનનો ચસ્કો લાગ્યો હોય તે પાંચ ઇન્દ્રિયમાં છે. આ કીડી છે તે છત ઉપર ઘી લટકાવ્યું હોય તો ય એને કયાં, કેટલા અંતરે ઘી છે એની સમજણ પડે, અને એને કયા માર્ગે અને