________________
આત્મા ભણી આવ્યે જ છૂટકો છે !
૩૧૨૫ ચિત્ત એકાગ્ર થાય એટલે આનંદ આવે.
૩૧૨૬ ‘જ્ઞાની’નું ચિત્ત આખો દહાડો આત્મામાં જ હોય, સાપ જેમ મુરલીના તાનમાં હોય તેમ ! પછી વ્યગ્રતા થાય જ નહીં ને ! ૩૧૨૭ આ તમને ‘શુદ્ધાત્મા’ ‘અમે’ આપ્યો છે તે ‘ફર્સ્ટ સ્ટેપ’ છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય !
૩૧૨૮ ચિત્તનાં ‘રીવોલ્યુશન’ દરેકનાં જુદાં જુદાં હોય. કોઈનાં એક મિનિટનાં ત્રણ હજાર હોય, તો કોઈના એક મિનિટનાં પચાસ હોય ! ચિત્તનું કામ લેવું હોય તો સામા જોડે ‘કાઉન્ટર પુલી’ જોડવી પડે !
૩૧૨૯ સંસારી ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. શુદ્ધ ચિત્ત થાય છે તે શુદ્ધ ચેતન છે.
૩૧૩૦ અવસ્થાઓને જ નિત્ય માને એ અશુદ્ધ ચિત્ત. અવસ્થાઓમાં જ પ્રવર્તના કરે એ અશુદ્ધ ચિત્ત અને વસ્તુમાં રમણતા કરે એ શુદ્ધ ચિત્ત.
૩૧૩૧ સચિત્ત એટલે જ્ઞાન. અસચિત્ત એટલે અજ્ઞાન. ૩૧૩૨ અસચિત્ત કોને કહેવાય ? પુદ્ગલપક્ષી ચિત્ત એ અસચિત્ત કહેવાય અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સચિનંદ થયું !
૩૧૩૩ લોકસંજ્ઞાથી ચાલે તો નર્યું દુઃખ જ છે ને ‘જ્ઞાની’ની સંજ્ઞાથી ચાલે તો નર્યું સુખ, સુખ ને સુખ જ છે. લોકસંજ્ઞા એટલે લોકોએ જેમાં સુખ માન્યું, ભૌતિક વસ્તુઓમાં સુખ માન્યું, તેમાં આપણે પણ સુખ માન્યું તે. અને આત્મામાં જ સુખ છે એમ માનવું એ ‘જ્ઞાની’ની સંજ્ઞા !
૩૧૩૪ ચિત્તને સનાતન વસ્તુમાં રાખવાનું છે. સ્વરૂપમાં રાખવાનું છે. જપ, તપ, ધ્યાન, યોગ, મંત્ર એ સનાતન વસ્તુ નથી. એ બધું ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. કોઈ વસ્તુ સનાતન નથી. આત્મા એકલો જ સનાતન છે. એમાં જો ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં ! ત્યારે મુક્તિ થાય !
૩૧૩૫ ચિત્ત સનાતન વસ્તુમાં મળી ગયું એટલે થઈ ગયું શુદ્ધ ચિત્ત ! એટલે વિદેહી થઈ ગયો ! એટલે મુક્તિ થઈ ગઈ !
૩૧૩૬ અશુદ્ધ ચિત્તના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી એ ઊડી જાય ! જ્ઞાતાદ્રષ્ટા રહો તો એની મેળે ઊડી જાય ને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે !
૩૧૩૭ ચિત્તને દરેક કામમાં હાજર રાખવું. એના જેવું કોઈ ધ્યાન નથી.
૩૧૩૮ ચિત્ત તો આ શરીરનું માલિક છે. એને કેમ ગેરહાજર
રખાય ?!
૩૧૩૯ ચિત્તને બધે હાજર રાખવું જોઈએ. ‘પ્રેઝન્ટ’ રાખવું પડે. ખાવામાં-પીવામાં, સંડાસમાં બધેય ચિત્ત હાજર રહેવું જોઈએ.
૩૧૪૦ ‘અમારે’ ચિત્ત જરાય આઘુંપાછું ના થાય. જ્યાં છે ત્યાં જ બધું રાખો. રાજા યે ત્યાં ને લશ્કરે ય ત્યાં ! અમારી જોડે બેસો તો તમારું લશ્કરે ય એવું થઈ જાય !
૩૧૪૧ આ કાળમાં જીવો ઘણાં ખરાં એવાં છે તે તિર્યંચના ‘સ્ટેશને 'થી આવ્યા છે ને ‘રીટર્ન ટિકિટ' લઈને આવ્યા છે !
૩૧૪૨ ‘અમે’ જ્ઞાન આપીએ છીએ ત્યારે ચિત્ત શુદ્ધ કરી આપીએ છીએ ! પાપનો નાશ કરીએ છીએ અને દિવ્યચક્ષુ આપીએ છીએ, બધી રીતે એના આત્મા ને અનાત્માને છૂટા પાડીએ છીએ !!!