________________
| ૧૮૬ |
શ્રી નંદી સૂત્ર
ઉત્તર- પ્રતિબોધક દષ્ટાંત આ પ્રમાણે છે- કોઈ વ્યક્તિ કોઈ સૂતેલા પુરુષને કહે "હે ભાઈ! હે ભાઈ!" એમ કહીને જગાડે.
શિષ્ય ફરી આ વિષયમાં પૂછે- હે ભગવન્! શું એવું સંબોધન કરવાથી તે પુરુષના કાનમાં એક સમયમાં પ્રવેશ કરેલા પુદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે કે એ સમયમાં અથવા દસ સમયમાં, સંખ્યાત સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો તે સૂતેલા પુરુષ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે?
ત્યારે ઉત્તર દેતાં ગુરુ કહે છે કે એક સમયમાં પ્રવિષ્ટ થયેલા પુદ્ગલો ગ્રહણ કરવામાં આવતા નથી. બે સમય યાવત દસ સમયમાં કે સંખ્યાત સમયમાં ગ્રહણ થતા નથી પણ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ થયેલા શબ્દ પુદગલો ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રતિબોધકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું છે. વિવેચન :
આ સૂત્રમાં વ્યંજનાવગ્રહને સમજાવવા માટે સૂત્રકારે પ્રતિબોધકનું દષ્ટાંત આપીને વિષયને સ્પષ્ટ કર્યો છે. જેમ કે કોઈ માણસ ગાઢ નિદ્રામાં સૂતો હોય ત્યારે અન્ય કોઈ પુરુષ આવીને વિશેષ કારણથી તેનું નામ લઈને જગાડે અર્થાત્ ઓ દેવદત્ત ! ઓ દેવદત્ત! એમ કહીને સૂતેલા માણસને જગાડવા માટે અનેકવાર સંબોધિત કરે એ પ્રસંગને લક્ષ્યમાં રાખીને અહીં શિષ્ય ગુરુના પ્રશ્નોત્તરની કલ્પના દ્વારા સમજાવ્યું છે કે શ્રોતેંદ્રિયમાં નિરંતર અસંખ્ય સમય સુધી શબ્દપુગલો પ્રવેશ કરે ત્યારે તે વ્યક્તિના શ્રવણનો વિષય થાય છે. એક, બે કે સંખ્યાત સમયના શબ્દપુદ્ગલ શ્રોતેન્દ્રિયના વિષય રૂ૫ થતા નથી અર્થાત્ દરેક ઈન્દ્રિયોના વિષયનો ઉપયોગ થવામાં અસંખ્ય સૂક્ષ્મ સમય થઈ જાય છે. કોઈ વ્યક્તિની ઈન્દ્રિયો ગમે તેટલી પોતાના વિષયમાં પટુ હોય તો પણ તેના ઉપયોગનો સમય એટલો તો થઈ જ જાય છે. વ્યવહારમાં આપણને એમ લાગે કે આ ઈન્દ્રિય વિષયનું એટલે શ્રવણનું કે રૂપનું તત્પણ ગ્રહણ થઈ ગયું, પરંતુ તત્ક્ષણ લાગનાર તે સમય જ્ઞાનીઓની દષ્ટિથી અસંખ્ય સમય થઈ જાય છે કારણ કે આંખોની પલક માત્રમાં પણ અસંખ્યાત સમય લાગી જાય છે. આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે કે પહેલા સમયથી લઈને સંખ્યાત સમય પર્યત શ્રોત્રમાં જે શબ્દપુદ્ગલ પ્રવિષ્ટ થાય છે તે દરેક પણ અત્યંત અવ્યક્ત રૂપથી જ્ઞાનના પરિચાયક છે.
વ્યંજનાવગ્રહના કાળનું માપ જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ સંખ્યાત આવલિકા પ્રમાણ હોય છે.
આ સૂત્રમાં જિજ્ઞાસુ શિષ્ય માટે "ચોયગ" શબ્દનો પ્રયોગ કરેલ છે, કેમ કે તે પોતાના કરેલ પ્રશ્નના ઉત્તર માટે પ્રેરક છે અને સમાધાન કરનાર ગુરુ માટે પ્રજ્ઞાપક પદનો પ્રયોગ કરેલ છે કારણ કે તે અર્થના પ્રતિપાદક છે.