________________
૧૪૦ |
શ્રી નંદી સૂત્ર
રાજકુમારોએ મોટા મોટા ભરાવદાર ઘોડાની ખરીદી કરી પરંતુ ઘોડાની પરીક્ષામાં પ્રવીણ એવા વાસુદેવ નામના એક યુવકે દુબળા-પાતળા ઘોડાની ખરીદી કરી.
આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ઘોડાની દોડ હોય ત્યારે વાસુદેવનો જ ઘોડો બધાથી આગળ રહીને પારિતોષિક પ્રાપ્ત કરતો હતો. બાકીના બધા મોટા મોટા અલમસ્તાન ઘોડાઓ પાછળ રહી જતાં હતાં. વાસુદેવે અશ્વપરીક્ષાની વિદ્યા તેના કલાચાર્ય પાસેથી વિનયપૂર્વક શીખી હતી. વિનયથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને વિનયથી શીખેલું જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણ વનયિકી બુદ્ધિનું છે.
(૭) ગર્દભ - કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેના મનમાં એક વાત ઠસાઈ ગઈ હતી કે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે. યુવક અધિક પરિશ્રમ કરી શકે છે. એમ વિચારીને તેણે પોતાની સેનાના દરેક અનુભવી તેમજ વૃદ્ધ યોદ્ધાઓને હટાવીને તરુણ યુવકોને પોતાની સેનામાં દાખલ કર્યા.
એકવાર તે રાજા પોતાની જવાન સેનાની સાથે કોઈ એક રાજ્ય પર આક્રમણ કરવા માટે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્ગ ભૂલી ગયા, એક બિહામણા જંગલમાં ફસાઈ ગયા. ઘણી તપાસ કરી પણ તેમને ક્યાંય રસ્તો મળ્યો નહીં. સૈનિકોને ખૂબ જ તૃષા લાગવાથી જમીન પર આળોટવા લાગ્યાં. તેમને પાણી ક્યાંયથી મળ્યું નહીં. ત્યારે કોઈ એક વ્યક્તિએ રાજાને પ્રાર્થના કરી- મહારાજ અમને આ વિપત્તિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. કોઈ અનુભવી કે વયોવૃદ્ધ હોય તો આ સંકટમાંથી બચાવી શકે. તેની વાત સાંભળીને રાજાએ એ જ વખતે ઘોષણા કરાવી- આ સૈન્યમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય તો તે અમારી સમક્ષ આવીને અમને સલાહ પ્રદાન કરે.
સૌભાગ્યવશ સેનામાં એક વયોવૃદ્ધ યોદ્ધો છપાવેશમાં આવ્યો હતો. તેને તેનો પિતૃભક્ત પત્ર સૈનિક લાવ્યો હતો. તે રાજાની પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું–મહાનુભાવ! મારી સેનાને જળ પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વૃદ્ધ પુરુષે થોડીકવાર વિચારીને કહ્યું- મહારાજ ! ગધેડાને છૂટા કરો. તેઓ જે ભૂમિને સુંઘે એ ભૂમિમાંથી પાણી નીકળશે. રાજાએ અનુભવીના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાએ ભૂમિને જે જગ્યાએ સુંઘી, ત્યાં રાજાએ તરત જ ખોદાવ્યું તો પુષ્કળ પાણી નીકળ્યું. સૈનિકોએ ત્યાં જઈને પાણી પીધું કે તરત જ શરીરમાં ચેતના આવી ગઈ. રાજા અનુભવની વૈનાયિકી બુદ્ધિ પર ખુશ થયાં. ત્યાંથી સૈન્યને લઈને રાજા જ્યાં જવું હતું ત્યાં ગયા.
(૮) લક્ષણ :- એક વ્યાપારીએ પોતાના ઘોડાઓની રક્ષા માટે એક વ્યક્તિને રાખેલ અને તેને કહ્યું- તું મારા ઘોડાની રક્ષા કરીશ તો હું તને તારા વેતનમાં બે ઘોડા આપીશ. પેલાએ કબૂલ કર્યું. પ્રતિદિન તે ઘોડાઓની સાર-સંભાળ લેતો હતો. થોડો સમય વ્યતીત થયા બાદ તેને વ્યાપારીની દીકરી સાથે સ્નેહસંબંધ જોડાઈ ગયો. સેવક ચતુર હતો તેથી તેણે કન્યાને પૂછી લીધું કે આ બધા ઘોડામાં કયા કયા શ્રેષ્ઠ છે? કન્યાએ કહ્યું– આ બધા ઘોડા ઉત્તમ જાતિના છે પરંતુ પથ્થરોથી ભરેલ કૂપીઓને વૃક્ષ પરથી નીચે ફેંકવામાં આવે અને તેનો અવાજ સાંભળીને જે ઘોડા ભયભીત ન થાય તે શ્રેષ્ઠ લક્ષણવાન હોય છે. એવા ઘોડા ભાગ્યે જ જોવા મળે છે.