________________
૨૯૮
શ્રી ભગવતી સૂત્ર-૨
| શતક-૭ : ઉદ્દેશક-૧
~ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવની અનાહારક દશાનું કાલમાન, જીવની સર્વ અલ્પાહારતા, લોકસંસ્થાન, સાંપરાયિક અને ઐર્યાપથિક ક્રિયા, કર્મરહિત જીવની ગતિ તેમજ સાધુના આહાર સંબંધી દોષ ઈત્યાદિ વિષયોનું વિસ્તૃત વિવેચન છે.
* જીવ જ્યારે પરલોકમાં જાય, ત્યારે જો એક સમયવાળી ઋજુગતિથી જાય તો તે અનાહારક હોતો નથી, આહારક જ રહે છે. જીવ બે સમયવાળી વક્રગતિથી જાય તો એક સમય અનાહારક રહે છે. ત્રણ સમયવાળી વક્રગતિથી જાય તો બે સમય અનાહારક રહે છે અને ચાર સમયવાળી વક્રગતિથી જાય તો ત્રણ સમય અનાહારક હોય છે. ત્યાર પછી તે આહારક થાય છે. એકેન્દ્રિય જીવ ઉત્કૃષ્ટ ત્રણ સમય અને શેષ દિંડકના જીવ ઉત્કૃષ્ટ બે સમય જ અનાહારક હોય છે.
*
પ્રત્યેક જીવ ઉત્પત્તિના સમયે અને મૃત્યુ સમયે સર્વ અલ્પાહારી હોય છે.
* લોકસંસ્થાનઃ-લોક સુપ્રતિષ્ઠિત શરાવલાના આકારે છે. ત્રણ શરાવલ(કોડિયા)ને ક્રમશઃ નીચે એક ઊંધું, તેના ઉપર એક ચત્ત અને તેના ઉપર એક ઊંધું ગોઠવતાં જે આકાર થાય તેવો લોકનો આકાર છે. * શ્રાવક બે કરણ ત્રણ યોગથી મર્યાદિત સમય માટે પાપનો ત્યાગ કરી, સામાયિકમાં સ્થિત હોય ત્યારે પણ તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે કારણ કે તેનો આત્મા સર્વ ત્યાગી ન હોવાથી અધિકરણી કહેવાય છે અને અધિકરણીને સાંપરાયિકી ક્રિયા હોય છે.
* શ્રાવકના પચ્ચકખાણ અનેક આગાર સહિત હોય છે. તેને સંકલ્પી હિંસાના પચ્ચખાણ હોય છે, આરંભી હિંસાના નહીં. પૃથ્વીને ખોદતાં વનસ્પતિકાય કે ત્રસ જીવની હિંસા થઈ જાય તો તે આરંભી હિંસા છે અને તેનાથી તેના વ્રતનો ભંગ થતો નથી.
* શ્રમણ નિગ્રંથને દાન આપનાર શ્રમણોપાસક સ્વયં તે જ સમાધિને પ્રાપ્ત કરે છે. તે પોતાના જીવનના આધારભૂત આહારાદિ વસ્તુનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે, દુર્લભ એવા બોધિબીજને પ્રાપ્ત કરે છે અર્થાતુ સુલભ બોધી થઈ જાય છે અને પરંપરાએ તે મુક્ત થાય છે. * કર્મરહિત જીવની ઊર્ધ્વ ગતિના છ કારણ છે– (૧–૩) નિઃસંગતાથી, નિરાગતાથી અને ગતિ પરિણામથી લેપરહિત તુંબડીની જેમ. (૪) બંધનછેદથી–એરંડ બીજની જેમ, (૫) નિરિધનથીઈન્ધનરહિત ધૂમની જેમ, (૬) પૂર્વપ્રયોગથી ધનુષથી છૂટેલા બાણની જેમ.