________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૮ સત્તાણુંમું પર્વ
પદ્મપુરાણ તે કહે. માટે જગતની વાત સાંભળીને જે યોગ્ય હોય તે કરવું. લોકો ગાડરીયો પ્રવાહ છે માટે હે ગુણભૂષણ, પોતાના હૃદયમાં લૌકિક વાત ન ધારવી, દાનથી પ્રીતિના યોગથી લોકોને પ્રસન્ન રાખવા અને વિમળ સ્વભાવથી મિત્રોને વશ કરવા. સાધુ તથા આર્થિક આહાર માટે આવે તેમને અત્યંત ભક્તિથી પ્રાસુક અન્ન આપવું અને ચતુર્વિધ સંઘની સેવા કરવી, મનવચનકાયાથી મુનિઓને પ્રણામ-પૂજન-અર્ચનાદિ કરીને શુભ કર્મનું ઉપાર્જન કરવું અને ક્રોધને ક્ષમાથી, માનને નિર્માનથી, માયાને સરળતાથી, લોભને સંતોષથી જીતવા. આપ તો સર્વ શાસ્ત્રમાં પ્રવીણ છો તેથી અમે તમને ઉપદેશ આપવાને સમર્થ નથી, કેમ કે અમે સ્ત્રી છીએ. આપની કૃપાના યોગથી કોઈ વાર પરિહાસ્યથી અવિનયભરેલું વચન કહ્યું હોય તો ક્ષમા કરજો. આમ કહીને રથમાંથી ઊતરીને તૃણપાષાણથી ભરેલી ધરતી પર અચેત થઈને પડી. કૃતાંતવક્ર સીતાને મૂચ્છિત થયેલ જોઈને ખૂબ દુઃખી થયો અને મનમાં વિચારવા લાગ્યો. અરે આ મહાભયાનક વન, અનેક જીવોથી ભરેલું છે ત્યાં ધીરવીરને પણ જીવવાની આશા નથી તો આ કેવી રીતે જીવશે? આના પ્રાણ બચવા કઠણ છે. આ માતાને હું એકલી વનમાં છોડી જાઉં છું, તો મારા જેવો નિર્દય કોણ? મને ક્યાંય પણ કોઈ જાતની શાંતિ નથી. એક તરફ સ્વામીની આજ્ઞા છે અને એક તરફ આવી નિર્દયતા. હું પાપી દુઃખના વમળમાં પડ્યો છું. ધિક્કાર છે પારકી સેવાને! જગતમાં પરાધીનતા નિંધ છે, કેમ કે સ્વામીના કહ્યા પ્રમાણે કરવું પડે છે. જેમ યંત્રને મંત્રી વગાડે તેમ જ વાગે તેમ પારકો સેવક યંત્રતુલ્ય છે. ચાકર કરતાં કૂકર (કૂતરો) ભલો, જે સ્વાધીન આજીવિકા પૂર્ણ કરે છે. જેમ પિશાચને વશ થયેલ પુરુષ જેમ તે બોલાવે તેમ બોલે છે, તેમ નરેન્દ્રને વશ મનુષ્ય તે જે આજ્ઞા કરે તે પ્રમાણે કરે છે. ચાકર શું ન કરે અને શું ન કહે? જેમ ચિત્રનું ધનુષ્ય નિપ્રયોજન ગુણ એટલે કે દોરી ધરે છે, સદા નમેલું હોય છે તેમ કિંકર નિપ્રયોજન ગુણ ધરે છે, સદા નમ્રીભૂત છે. ધિક્કાર છે કિંકરના જીવનને! બીજાની સેવા કરવી એટલે તેજરહિત થવું. જેમ નિર્માલ્ય વસ્તુ નિંદ્ય છે તેમ બીજાની ચાકરી નિંધ છે. પરાધીન પ્રાણધારણને ધિક્કાર છે. પરાયો કિંકર કૂવા પરના રેટ સમાન છે, જેમ રેટ પરતંત્ર હોઈ કુવાનું જળ હરે છે તેમ આ પરતંત્ર થઈને પરાયા પ્રાણ હરે છે. કદી પણ ચાકરનો જન્મ ન મળશો. બીજાનો નોકર લાકડાની પૂતળી જેવો છે, જેમ સ્વામી નચાવે તેમ તે નાચે છે. કિંકર ઉચ્ચતા, ઉજ્જવળતા, લજજા અને કાંતિથી રહિત હોય છે. જેમ વિમાન પરને આધીન હોય, તે ચલાવે તેમ ચાલે, રોકે તો રોકાય, ઊંચું લઈ જાય તો ઊંચે જાય, નીચે ઉતારે તો નીચું ઊતરે. ધિક્કાર છે પરાધીનનું જીવન! તે અત્યંત તુચ્છ, પોતાના શરીરને વેચનારો અને સદા પરતંત્ર છે. મેં પારકી ચાકરી કરી અને પરવશ થયો તો આવાં પાપકર્મ કરવાં પડે છે. આ નિર્દોષ મહાસતીને એકલી ભયંકર વનમાં તજીને જાઉં છું. હે શ્રેણિક! જેમ કોઈ ધર્મની બુદ્ધિ તજે તેમ તે સીતાને વનમાં તજીને અયોધ્યા તરફ ચાલ્યો. એના ગયા પછી કેટલીક વારે સીતા જાગ્રત થઈ અને યુથભ્રષ્ટ હરણીની જેમ અત્યંત દુઃખથી વિલાપ કરવા લાગી. એના રુદનથી જાણે બધી જ વનસ્પતિ રુદન કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com