________________
૫૯૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઇએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઇએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે-
આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે ‘અજ્ઞાન’ અને ‘સમ્યકજ્ઞાન’ તે ‘જ્ઞાન’ એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યકજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યકજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યુ નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવરૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વાભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળ્યે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળ્યે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઇ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે, તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે, અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યક્પણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઇ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઇ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળ્યેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઇ શકે એમાં કંઇ સંદેહનું ઠેકાણું નથી.
૭૭૧
વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩
ગયા કાગળમાં અત્રેથી ત્રણ પ્રકારનાં સમકિત જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય; અને જો તે સમકિત વમે, તો વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હોય.
સોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તો તે જીવ વર્મી શકે; પણ સાયિક સમકિત હોય તો તે વમાય નહીં; જ્ઞાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તો ત્રણ ભવ
૧. જુઓ પત્રાંક ૭૫૧.