________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૦૫
હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે, તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે, જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારર્દષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.
યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિત કહ્યું છે, તે પ્રતિત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી. સહજભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે: “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજાં એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા તેથી જાણે ?’
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી ‘સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો ‘દેહધારી કેવળી' અને 'સિદ્ધ'ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છેઃ-
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે -‘સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, ‘અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.’ સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણેઃ- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણેઃ- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળ જ્ઞાન “
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના મંદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે. કે ‘કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?' એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
܀܀܀܀