________________
૩૯૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૪૮૭
મુંબઈ. ફાગણ સુદ ૧૧, દિવ, ૧૯૫૦
બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું. એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિષે કંઈ લખવાનું સૂઝે તો લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ-પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે, અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય, તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. એટલે તેમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે.
આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે, કે જ્ઞાનીપુરુષને પણ પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતાં નથી, અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે, તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર, એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાનીપુરુષને વિષે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય; અને તે માટે થઈ જ્ઞાનીપુરુષો ઘણું કરી જૌનદશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તો પછી તે જ્ઞાનીપુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી.
܀܀܀
૪૮૮
મુંબઈ, ફાગણ વદ ૧૦, શનિ, ૧૯૫૦
શ્રી 'શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા, વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું, અથવા સમાધાન પુછાવવા યોગ્ય હોય તો પુછવામાં પ્રતિબંધ નથી.
સુદર્શન શેઠ પુરુષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેંદ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે; અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહનો પરિચય કરવા ઇચ્છા કરી હોત તોપણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં; એમ અમને લાગે છે.
૪૮૯
મુંબઈ, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૦
'શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુજીવે સ્વગુણ કરવાયોગ્ય છે. શ્રી કૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત્ સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે.
૪૯૦
મુંબઈ. ફાગણ વદ ૧૧, દિવ, ૧૯૫૦
ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે; એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાય ત્રુટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી,