________________
૩૭૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે.
સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સભ્ય પરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.
જે સમ્યકજ્ઞાનીપુરુષોથી સિદ્વિજોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે તે જ્ઞાનીપુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાનીપુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી.
માર્ગાનુસારી કે સમ્યકૃર્દષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે, અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન રી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાનીપુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુર્યે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજોગ પરિણામી હોય છે, તે જ્ઞાનીપુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ. મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કોઈ પ્રસંગે જ્ઞાનીપુરુષે પણ સિદ્ધિજોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે; અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે.
અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક્દૃષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તો પછી તે સ્ફુરિત કરવા વિષેની ઇચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી.
તમે શૌચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરો છો, તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિષે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો; ઉપયોગ કરો; અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે.
૪૫૧
નમસ્કાર પહોંચે.
મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૯, ૧૯૪૯
કૃષ્ણદાસનો પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભોવનનો કાગળ અને ત્યાર પછી
તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે.