________________
૨૭૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
માટે પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી; માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે
અપ્રમત્ત હોવો જોઈએ.
તમારી ઇચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ; જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા (ઇચ્છા ?) નથી.
બેનાં પત્ર ન લખવાં પડે, માટે આ એક તમારું લખ્યું છે. અને તે જેને ઉપયોગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાયોગ્ય કહેજો, સંભાર્યાં છે એમ પણ કહેજો.
૨૨૭
વિ૦ રાયચંદ
મુંબઈ, ફાગણ, ૧૯૪૭
તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. તેથી વિશેષ ઉપકારનો હેતુ થવાનું યથાયોગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તોપણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બેય પ્રકાર ઉપશમાવવા યોગ્ય છે.
܀܀܀܀܀
૨૨૮
મુંબઈ, ફાગણ, ૧૯૪૭
સદુપદેશાત્મક સહજ વચનો લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે; કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગુણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી.
૨૨૯
મુંબઈ, ફાલ્ગુન, ૧૯૪૭
અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયકર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી, માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દૃઢતા થાય છે.
પણ મનો વિના
૨૩૦
મુંબઈ, ચૈત્ર સુદ ૪, રવિ, ૧૯૪૭
એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું ? આપ તો કરુણામય છો. તથાપિ અમારી કરુણા વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી ?