________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૪૫
ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુકત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે જીવનમાં અપૂર્વતાને પામ્યો.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ, વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો -
જ
“અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ કર્યુ કે ? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યાં. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે ? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે ! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઊંચત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દૃઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે, આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું,તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં.