________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પ૩
કારણે કોઈની ક્રિયા થઈ નથી. સોયની ગમન કરવાની યોગ્યતા થઈ માટે લોહચુંબક નજીક આવ્યું માટે સોય ખેંચાણી તેમ પણ નથી. સોયની ક્ષેત્રોતરની લાયકાત હોય છે તે જ વખતે લોહચુંબકમાં તે ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છે. આનું નામ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
૨૮. નિમિત્તપણાની લાયકાત. પ્રશ્ન- લોહચુંબક પથ્થર સોયમાં કંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પથ્થરને નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોહચુંબક સોયને કંઈ નથી કરતું છતાં તેને નિમિત્ત કહેવાય છે. તો પછી લોહચુંબકની જેમ અન્ય પથ્થર પણ સોયને કાંઈ નથી કરતું છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું?
ઉત્તર- તે સમયે તે કાર્યમાં લોહચુંબક પથ્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય માટે અનુકૂળતાના આરોપ આપી શકાય તેવી લાયકાત લોહચુંબક પથ્થરના તે સમયના પર્યાયમાં છે. બીજા પથ્થરમાં તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ લોહચુંબક પથ્થરમાં નિમિત્તપણાની લાયકાત છે. તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત ઉપાદાનમાં છે અને એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બંનેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ નિમિત્ત કહેવાય છે. લોહચુંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા માટે તેને “નિમિત્ત' કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે વ્યવહારે આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com