________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:- (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય- એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો –એ કેવી રીતે?
ઉત્તરઃ- (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે “મનુષ્ય જીવ છે,” નારકી જીવ છે ' ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે “જાણનારો જીવ છે,” “દેખનારો જીવ છે” ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમજ કહ્યા કહીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી તત્ત્વાર્થશ્રદ્ધાન જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ-સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું.
(૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યાં તેને કહેવામાત્ર જ છે. પરમાર્થ શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાનદર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા-સંખ્યાદિ ભેદ કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી, પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણ કે પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત્ કાર્યકારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થે બાહ્યક્રિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ બહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com