________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
ચિન રત્નાકર ભાગ-૨
હોવાપણામાં-અસ્તિપણામાં એ પર્યાયોના ભેદો છે નહિ. એ ભેદોમાં હું આવતો નથી અને મારામાં એ ભેદો સમાતા નથી. તેથી સંવર, નિર્જરા અને કેવળજ્ઞાનની પર્યાયથી પણ હું અત્યંત જુદો છું. હું તો એક અખંડ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ અને પુરુષાર્થનો પિંડ છું અને વ્યાવહારિક જે નવતત્ત્વો તેમનાથી જુદો, અત્યંત જુદો છું માટે શુદ્ધ છું.
અહાહા! વસ્તુ આત્મા એકલું ચૈતન્યનું દળ છે. એ ત્રિકાળસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં એ ત્રિકાળી દ્રવ્ય કયાં આવે છે? તેથી વ્યાવહારિક નવતત્ત્વના ભેદોપર્યાયો નથી એમ કોઈ કહે તો એમ નથી. તેઓ પર્યાયપણે, પર્યાયના અસ્તિપણે તો છે, પરંતુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં તે નથી એમ વાત છે. ધ્રુવ દ્રવ્યમાં પર્યાય આવતી નથી અને પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. શ્રી સમયસાર ગાથા ૪૯ માં “અવ્યક્ત” ના છ બોલ લીધા છે. તેમાં પાંચમા બોલમાં એમ લીધું છે કે વ્યક્તિ અને અવ્યક્ત બન્ને સાથે જણાતા હોવા છતાં વ્યક્તને એટલે પર્યાયને હું સ્પર્શતો નથી એવો હું દ્રવ્ય છું. શ્રી પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લા બે નય અશુદ્ધનય અને શુદ્ધનય લીધા છે. તેમાં એમ લીધું છે કે માટીને કેવળ માટીરૂપે જોવી તે શુદ્ધનય છે અને માટીના અનેક જાતના આકાર વિશેષો (વાસણ) થાય તે-રૂપે જોવી તે અશુદ્ધનય છે. એમ ભગવાન આત્મા એકલી ચિન્માત્ર અભેદ વસ્તુ તે શુદ્ધ છે. એ શુદ્ધનયનો વિષય છે. અને આત્માને પર્યાયથી જોવો એ અશુદ્ધનયનો વિષય છે. જાઓ, અશુદ્ધનયનો વિષય પર્યાય-નવતત્વના ભેદરૂપ છે ખરી, પણ દ્રવ્યની સત્તામાં ત્રિકાળ ધ્રુવ સત્ત્વમાં એ નથી. તેથી કહે છે નવતત્ત્વોના વ્યાવહારિક ભાવોથી જુદો હોવાથી શુદ્ધ છું.
આ ૩૮ મી ગાથા જીવ અધિકારની છેલ્લી ગાથા છે. આખા જીવતત્ત્વનો સાર બધો આમાં પ્રગટ કર્યો છે. જ્ઞાની એમ અનુભવે છે કે-હું શુદ્ધ છું. “હું શુદ્ધ છું’ એવો વિકલ્પ નહિ, એવો અનુભવ છે. અહાહા! તે એમ જાણે છે કે-મારા સત્નું સત્ત્વ છે તે ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, અભેદ છે અને એકરૂપ છે. તેથી નવતત્ત્વના વ્યાવહારિક ભાવોથી હું અત્યંત જુદો છું, ભિન્ન છું. ભિન્નતાના ત્રણ પ્રકાર છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે એ એક વાત.
પુણ્ય-પાપના જે વિકારીભાવો છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એ બીજી વાત.
અને જે નિર્મળ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ ત્રીજી વાત.
પહેલી સ્વદ્રવ્ય-પદ્રવ્યની ભિન્નતા કહી. બીજી વિકારીભાવ અને સ્વભાવની ભિન્નતા કહી અને ત્રીજી દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા બતાવી. એક સમયની પર્યાયમાં એ આખી વસ્તુ છે કયાં? પર્યાય દ્રવ્યને અડે છે કયાં? અહાહા! પર્યાય છે એ દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્યસ્વભાવ પર્યાયને સ્પર્શતો નથી. પુદ્ગલાદિ (શરીર વગેરે) પરદ્રવ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com