________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૨૧ તોપણ જે પોતે એકાંત બોધરૂપ ( જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
ભાવાર્થ:- આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે: (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મયુગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે-એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે અને (૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુ:ખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દષ્ટિ (અપેક્ષા)થી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો, અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને–તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયને-ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ, તેને શુદ્ધનયની દષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ (પાંચ) ભાવોથી જે અનેકપ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુદ્ગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિઅનંત એક આત્માનું જ્ઞાન તેને નથી, તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવરૂપ પરિણમતો નથી; તેથી કર્મ બંધાતાં નથી. અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને શુદ્ધનિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com