________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૯૯ સંયોગજનિત કહી છે. પર નિમિત્તના સદભાવ અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત્ત-અપ્રમત્ત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ જ્ઞાયકભાવ-સ્વભાવભાવમાં નથી એમ કહ્યું છે.
નિયમસારમાં ઔદયિકાદિ ચાર ભાવને આવરણસંયુક્ત કહ્યા છે. ત્યાં ઔદયિકભાવમાં કર્મના ઉદયના નિમિત્તની અપેક્ષા આવે છે માટે તે આવરણવાળો છે એ તો ઠીક પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તો નિરાવરણ છે છતાં નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી ચારેય ભાવોને આવરણસંયુક્ત કહી દીધા છે.
પંડિતજીએ બહુ સરસ સ્પષ્ટ કર્યું છે કે નિમિત્તના સભાવવાળી પ્રમત્ત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત્ત દશા એ બન્ને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ, ધ્રુવ, પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય-ભેદો નથી. ભાઈ ! આ સમજ્યા વિના જન્મ-મરણના ફેરા મટે એમ નથી. પ્રમત્ત-અપ્રમત્તની અવસ્થાઓ આત્મામાં નથી. અશુદ્ધતા, દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે. અહીં પ્રમત્ત-અપ્રમત્ત બન્ને અવસ્થાઓને અશુદ્ધતામાં નાખી દીધી, કેમકે બન્ને સંયોગજનિત છે. આ ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધનયનો વિષય છે. અહીં દ્રવ્યદૃષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. ચૌદેય ગુણસ્થાનો અભાવરૂપ છે તેથી અસત્યાર્થ છે એમ નથી, પણ દ્રવ્યદષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી અને ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ-અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે.
આ છઠ્ઠી ગાથા બહુ સૂક્ષ્મ છે. સમયસારનો સાર જે જ્ઞાયક તેની શરૂઆત ત્યાંથી થાય છે. ન્યાલભાઈએ દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં લીધું છે કે –આખા સમયસારમાં છઠ્ઠી ગાથામાં સમ્યગ્દર્શનનો ખાસ વિષય જે ધ્રુવ તે આવી ગયો છે. છઠ્ઠી ગાથામાં સર્વોત્કૃષ્ટ વાત આવી છે. હું પ્રમત્ત નહીં, અપ્રમત્ત પણ નહીં; કઈ પર્યાય બાકી રહી? અહાહા..! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહીં.
વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર : એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com