________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ]
[ મોક્ષશાસ્ત્ર આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધદશા હો કે શુદ્ધદશા હો, બન્ને સમાન છે; શરીર પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે માટે શરીરમાં સુખ-દુઃખ થતાં નથી. શરીર નીરોગ હો કે રોગી હો, તે સાથે સુખ-દુ:ખનો સંબંધ નથી.
હવે બાકી રહ્યો જાણનારો જીવ છએ દ્રવ્યોમાં આ એક જ દ્રવ્ય જ્ઞાન સામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાનગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે, તેથી જીવમાં સુખગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓમાં સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે અને તે ભૂલને લીધે જ જીવને દુઃખ છે. અજ્ઞાન તે જીવનો અશુદ્ધ પર્યાય છે. જીવનો અશુદ્ધ પર્યાય તે દુઃખ હોવાથી તે દશા ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા કરવાનો ઉપાય સમજાવવામાં આવે છે, કેમ કે બધાય જીવો સુખ ઇચ્છે છે અને સુખ તો જીવની શુદ્ધદશામાં જ છે; માટે જે છ દ્રવ્યો જાણ્યાં તેમાંના જીવ સિવાયનાં પાંચ દ્રવ્યોના ગુણ-પર્યાય સાથે તો જીવને પ્રયોજન નથી; પણ પોતાના ગુણ-પર્યાય સાથે જ જીવને પ્રયોજન છે.
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના પાંચમા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com