________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
શ્રી કળશટીકાના કર્તાકર્મ અધિકારનું સંક્ષેપમાં અવલોકન કરીએ તો.. આચાર્યદેવનો, સંતોનો અભિપ્રાય અત્યંત સ્પષ્ટ છે કે- ચેતન, અચેતન સમસ્ત દ્રવ્યના સ્વયં થતાં પરિણામનો કર્તા, હર્તા, ધર્તા અન્ય પદાર્થ નથી.
વિશ્વના જડ, ચેતન સમસ્ત પદાર્થ સ્વયંથી પરિણમનશીલ છે. આ પ્રકારે વસ્તુ વ્યવસ્થા હોવા છતાં અજ્ઞાની જીવો! કોઈ તો ઈશ્વરને કર્તા માને છે, કોઈ તો જડકર્મને કર્તા માને છે અને કોઈ તો ત્રિકાળી કુટસ્થ આત્માને કર્તા માને છે. આ રીતે કર્તુત્વના અહંકારથી ગ્રાસિત જીવોને. કર્તુત્વના ભારથી નિર્ભર થવાની વિધિ દર્શાવી છે.
કર્તાકર્મ સ્વરૂપની સીમા રેખા અંકિત કરતા સંતો કહે છે કે- કોઈપણ જીવ, ક્યારેય પણ પરદ્રવ્યની સત્તામાં પ્રવેશી શકતો નથી. સામે બાજુથી કોઈપણ પરદ્રવ્ય જીવદ્રવ્યની સત્તામાં પ્રવેશવા અસમર્થ છે. કેમકે દરેક દ્રવ્યને માટે પોતાની અચલિત વસ્તુ સ્વભાવની મર્યાદાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે.
ઉપરોકત વસ્તુ સ્વભાવની સ્વતંત્રતાનો યથાર્થ નિર્ણય થયા પછી, કળશ નં. ૬૯ થી ૯૯ સુધી આચાર્યદેવે કદમ... કદમ પર નયાતિક્રાન્ત થવાની અપૂર્વ વિધિ બતાવી છે. સ્વાનુભવમાં બાધક એવા અનેક નયપક્ષોનો ઉલ્લેખ કરી. એ નયપક્ષોથી અતિક્રાન્ત થવા માટે મધ્યસ્થ જ્ઞાન સ્વભાવનું રસાયણ આપ્યું છે.
હું નિશ્ચયથી શુદ્ધ છું, અબદ્ધ છું, મુક્ત છું. તેવા વિકલ્પો તે તો અશુધ્ધોપયોગ છે, તે વિષમતા છે, તે મોહ છે, તે ક્ષોભ છે. જીવ, જ્યારે આવા અંતર્જલ્પ વિકલ્પોની શ્રેણીને પાર કરે છે ત્યારે સાક્ષાત જ્ઞાનસ્વરૂપ થાય છે. નિર્વિકલ્પ સ્વાનુભવરૂપ જે અભેદજ્ઞાનની ધ્યાનાગ્નિ પ્રગટી છે તેમાં સમસ્ત નય પક્ષના વિકલ્પો સ્વાહાપણાને પ્રાપ્ત થયા છે.
ચૈતન્ય જ્યોતિ જાજ્વલ્યમાન થતી પ્રગટી છે ત્યાં હવે અજ્ઞાનરૂપ કર્તાકર્મ વિભાવ ઉભો રહેતો નથી. શુદ્ધજ્ઞાન પ્રકાશ પ્રગટ થયો છે તે તો ચારે બાજુથી વિભાવરૂપ અંધકારને તોડતો અને વીતરાગભાવમાં વર્ધમાન થતો પ્રગતિમાન થઈ રહ્યો છે. આ રીતે અમૃત સરોવરમાંથી અમૃતને આસ્વાદતો મોક્ષનો અધિપતિ થાય છે.
- પુણ્ય-પાપ અધિકાર - શ્રી કળશટીકામાં સૌથી સુગમ અને સરલ અધિકાર જો કોઈ હોય તો તે છે પુણ્ય પાપ અધિકાર. જેટલો સરલ છે તેટલો કઠિન છે. કઠિન લાગવાનું કારણ એ છે કે તેને પુણ્ય પાપ તત્ત્વ સંબંધેનું અજ્ઞાન છે. પુષ્ય ને પાપ બન્ને સમાન કોટિના હોવા છતાં પણ મોહથી આચ્છાદિત જીવોને તેમાં પૃથ્થકત્વનું દર્શન થાય છે.
અશુધ્ધબુધ્ધિ જીવ, પુણ્ય અને પાપની વચ્ચે જ ભેદવિજ્ઞાન કરવા લાગ્યો કે- પુણ્ય ઉપાદેય છે અને પાપ હોય છે. પુણ્ય પાપની વચ્ચે ઉપાદેય હેયનું પાર્થકય પ્રતીત થવું તે જ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com