________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહીં કહે છે કે સંસારનો ભય જેને લાગ્યો છે તેને હું આ કહું છું. સંસારથી ભયભીત છે તેને કહું છું. જેમ ફાંસી દેવાનું નક્કી થઈ જતાં ત્રાસ લાગે તેમ જેને ચારગતિના દુઃખનો ત્રાસ લાગ્યો હોય એવા જીવોને માટે આ મારો યોગસારનો ઉપદેશ છે એમ કહે છે. હજી અમારે એકાદ ભવ કરવો છે, સ્વર્ગમાં જવું છે.....જેને જનમમરણનો ત્રાસ નથી એને અમારો ઉપદેશ લાગશે નહિ.
કોના માટે છે. અમારો ઉપદેશ?-કે જેને એકલી મોક્ષની અભિલાષા છે કે મારે તો બસ છૂટવું છે. સ્વર્ગમાં જવું નથી પણ મારે તો છૂટવું, છૂટવું ને છૂટવું છે. એવા મોક્ષની લાલસા, મોક્ષની અભિલાષા ધારણ કરવાવાળા માટે આ મારું યોગસાર છે-- એમ આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે. છેલ્લે એમ કહેશે કે મારા માટે આ યોગસાર કહ્યું છે.
ચારગતિનો ત્રાસ અને મોક્ષની અભિલાષાવાળા જીવોને માટે આ અમારો યોગસારનો ઉપદેશ છે. બીજે ખારવાળા ખેતરમાં અમે બીજ વાવતાં નથી! સ્વર્ગ આદિની ચાહનાવાળા જીવોને માટે અમારો ઉપદેશ નથી. ચારગતિનો ત્રાસ અને મોક્ષની તાલાવેલીવાળા જીવોને મારે એક જ વાત કહેવી છે, શું કહેવી છે?-કે આત્માનું સ્વરૂપ સમજાવવા માટે, તારી અંદર જાત શું છે ભાઈ !—એ સમજાવવા માટે આત્માનું સંબોધન કરવું છે. તારા સ્વરૂપમાં શું ભર્યું છે ને આ વિકાર-ફિકાર એ તારી જાત નથી-એવા આત્માના સ્વરૂપને સમજાવવા માટે એકાગ્ર મનથી હું અત્યારે દોહાની રચના કરીશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com