________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ પ્રવચન નં. ૨] શ્રી ગુરુનો સદુપદેશ:
નિજ પરમાત્માનું ચિંતન કરો [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. યોગીન્દ્રદેવ દિગંબર આચાર્ય થયા. તેમણે આત્માના સ્વભાવનો વેપાર કેમ કરવો? અને એ કેમ ભૂલ્યો છે તે અહીં કહ્યું છે. પણ કોના માટે કહ્યું છે? કે જે ચાર ગતિના ભવના ભયથી દુઃખી થયો હોય, ચાર ગતિના દુ:ખનો ડર લાગ્યો હોય અને જેને મોક્ષની અભિલાષા હોય તેને માટે આ યોગસાર કહે છે-એમ પહેલી શરત મૂકી છે.
कालु अणाइ अणाइ जिउ भव-सायरु जि अणंतु । मिच्छा-दसण-मोहियउ णवि सुह दुख्ख जि पत्तु ।। ४।।
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત,
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત. ૪. કાળ અનાદિનો છે. વર્તમાન, ભૂત ને ભવિષ્ય એમ કાળ અનાદિનો ચાલ્યો આવે છે. જીવો અનાદિ છે. સંસારમાં રખડનારા જીવો પણ અનાદિથી છે. નિગોદથી માંડીને નવમી રૈવેયકના-ચાર ગતિમાં રખડનારા દુઃખી-દુ:ખી જીવો અનાદિથી છે. એક જરીક પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય ને જરીક અનુકૂળતા આવે ત્યાં હરખના સંડકા માને!—એ બધા દુઃખી-દુઃખી છે. કાળ પણ અનાદિનો ને જીવ પણ અનાદિથી છે. સંસારી જીવની અશુદ્ધતા પણ અનાદિની છે. આત્મા અનાદિનો છે અને તેની મલિન પર્યાય પણ અનાદિની છે. શેરડીમાં રસ ને કૂચો ભેગા જ છે, પહેલા-પછી નથી; ખાણમાં સોનું ને પથ્થર પહેલેથી જ બન્ને સાથે છે. પહેલાં સોનું હતું ને પછી પથ્થર ભેગો થયો-એમ નથી; દૂધમાં દૂધને પાણી જોવામાં સાથે જ હોય છે; તલમાં તેલને ખોળ બન્ને પહેલેથી જ ભેગા છે અને જુદા પાડે તો પાડી શકે એમ છે. ચકમકમાં અગ્નિ અને ચકમક અનાદિના છે. તેમ આત્મા શુદ્ધ દ્રવ્ય તરીકે અનાદિ છે ને સંસાર અશુદ્ધ દશા અનાદિથી છે.
દ્રવ્ય ધ્રુવ તરીકે અનાદિ છે ને તેની મલિન પર્યાય અનાદિની છે. પહેલાં નિર્મળ પર્યાય હતી ને પછી મલિન થઈ એમ છે નહીં. ચણાની કાચાપણાની અવસ્થા પહેલેથી જ છે. એમ આત્મા વસ્તુએ તો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે છતાં તેને પર્યાયમાં મલિનતા કેમ આવી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com