________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદગુરુદેવાય નમઃ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાનજી સ્વામી પ્રત્યે
શ્રદ્ધાંજલી અહો અહો શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.
શ્રી જિન પ્રવચનના પરમભક્ત અને મર્મજ્ઞ, ભવ્ય જીવોના પથદર્શક, ભેદવિજ્ઞાન અને શુદ્ધ પ્રવૃત્તિના આ ક્ષેત્રે, આ કાળે સર્વોત્કૃષ્ટ પ્રભાવક, ભાવિ તીર્થકર, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી, આપનો અમ પામર જીવો પર અનંતો ઉપકાર છે.
મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજમાન શ્રી સીમંધર સ્વામીના સમોસરણમાં પરમપૂજ્ય કુંદકુંદાચાર્યની સદેહે વિદ્યમાનતામાં આપશ્રીએ તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળી હતી. જેથી કરીને આપશ્રીના હાથમાં શ્રી સમયસાર શાસ્ત્ર આવતાં જ પૂર્વના સંસ્કારો તાજા થયા અને આપ બોલી ઊઠ્યા કે અશરીરી થવાનું આ શાસ્ત્ર છે. પૂર્વે સાંભળેલી પરમકલ્યાણી દિવ્ય ધ્વનિનો આ ક્ષેત્રે પ્રવાહ વહાવી ભવ્ય જીવોને સુધાપાન કરાવ્યું અને અમોને સત્ય માર્ગ બતાવ્યો એ આપશ્રીની અમારા ઉપરની વીતરાગી કરુણા હતી. અમો કયા શબ્દોમાં આપનો આભાર માનીએ? શબ્દો ટૂંકા પડે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com