________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રમાણ-નયઃ ૧૬૯
મૈત્રી અશુદ્ધ રહે તે મૈત્રી નથી એટલે કે શુદ્ધતા થઈ તે દ્રવ્ય સાથે મૈત્રી. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૫૨૬)
પ્રશ્ન:- સમયસાર અને નિયમસાર વગેરેમાં એમ કહે કે ભગવાન શુદ્ધ આત્મામાં કોઈ ઉદયભાવો છે જ નહિ, જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં તેને ( ઉદયભાવને ) આત્માનું સ્વતત્ત્વ કહે છે-તે બંનેની અપેક્ષા સમજાવો ?
ઉત્તરઃ- સમયસાર આદિમાં દ્રવ્યદષ્ટિનું વર્ણન છે. દૃષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ થઈ જાય છે. અને તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં એમ કહે કે ઉદયભાવ આત્માનું સ્વતત્ત્વ છે; ત્યાં પ્રમાણના વિષયનું વર્ણન છે. ઉદયભાવરૂપે પણ આત્મા પોતે પરિણમે છે, આત્માની જ તે પર્યાય છે માટે તેને સ્વતત્ત્વ કહ્યું. તે ઉદયભાવ આત્માના સ્વકાળથી અસ્તિરૂપ છે ને કર્મથી તે નાસ્તિરૂપ છે, એટલે કર્મના ઉદયને લીધે તે ઉદયભાવ થયો–એમ ખરેખર નથી. પરથી તો આત્માનું નાસ્તિત્વ છે, એટલે આત્મા અને પરની વચ્ચે મોટો નાસ્તિરૂપી કિલ્લો છે, તેથી પર આત્માને કાંઈ કરી શકે એમ બની શકતું નથી. -આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૩૫
(૫૨૭)
પ્રશ્ન:- પુરુષ પ્રમાણ છે કે વચન પ્રમાણ છે?
ઉત્તરઃ- પુરુષ પ્રમાણે વચન પ્રમાણ-પુરુષની પ્રમાણતા અનુસાર તેના વચનની પ્રમાણતા હોય છે. પૂર્ણ પુરુષને ઓળખ્યા પછી તેના વચનોને પ્રમાણ જાણીને, તેમાં કહેલાં વસ્તુસ્વરૂપને ધર્મી જીવો સમજી જાય છે. જો પુરુષની પ્રમાણતા ન હોય તો વાણી પણ પ્રમાણરૂપ નથી, અને તેને પોતાના નૈમિત્તિકભાવમાં પણ જ્ઞાનની પ્રમાણતા નથી. પ્રમાણજ્ઞાનમાં નિમિત્ત તરીકે પ્રમાણરૂપ વાણી જ હોય એટલે કે સત્ સમજવામાં જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય, અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. સર્વજ્ઞ પુરુષને ઓળખ્યા વગર તેના વચનની પ્રમાણતા સમજાય નહિ અને તે વગર આત્માની સમજણ થાય નહિ. માટે સૌથી પહેલાં સર્વજ્ઞનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૪૪
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com