________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] .
[૭૩ કહેવા જાય તો પાર ન આવે, ને આ ત્રણ ભેદનું સ્વરૂપ બરાબર ઓળખતાં અંદર હેય-ઉપાદેયનો વિવેક થઈને ભેદજ્ઞાન-રૂપ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે; તે ત્રણ ભેદને જાણનાર જીવ બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવે છે.
દેહથી ભિન્ન ચેતનારૂપ પોતાનું અસ્તિત્વ છે તેને ન દેખતાં, દેહ તે જ હું છું એમ દેહને જ પોતાનો માનીને, અથવા દેહાશ્રિત રાગાદિ ભાવરૂપે જ પોતાને અનુભવીને તે બાહ્યભાવોમાં જ જે વર્તે છે તે બહિરાત્મા છે; પોતે કોણ ને પર કોણ? એનો પણ તેને વિવેક નથી એટલે તે તત્ત્વમાં મૂઢપણે વર્તે છે. રાગાદિભાવો કાંઈ અંતસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા નથી એટલે તે જીવના અંતરંગભાવ નથી, તે બાહ્યવસ્તુના આશ્રયે થયેલા બહિરભાવ છે. જીવનો અંતરસ્વભાવ જ્ઞાનઆનંદમય શુદ્ધ છે, તેના આશ્રયે થયેલા સમ્યક દર્શનાદિ ભાવો તે અંતરંગભાવ છે; તેને જે અનુભવે છે તે અંતરાત્મા છે અને બહિરભાવોને જ જે અનુભવે છે તે બહિરાત્મા છે. પરમાં બહારમાં આત્મપણું માને તે બહિરાત્મા; અંતરમાં પરથી ભિન્ન આત્માને દેખે તે અંતરાત્મા; પૂર્ણ પદને પામેલા તે પરમાત્મા.
જે બહિરાત્મા છે, તે પણ જ્ઞાનસ્વરૂપી આત્મા જ છે પણ અજ્ઞાનથી તે બહિરાત્મભાવરૂપે પરિણમેલો છે; સમ્યગ્દષ્ટિએ આત્મા જેવો છે તેવો જાણીને બહિરાત્મપણું છોડયું છે, ને પરમાત્મપણાને તે સાધે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com