________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૨૯ થતો નથી. એક રૂપી, બીજો અરૂપી; એક જડ, બીજો ચેતન; એમ બન્નેના સ્વભાવની તદ્દન ભિન્નતાને જ્ઞાની જાણે છે. જ્યાં પોતાના જ્ઞાનમાં રાગના અંશનેય નથી ભેળવતા ત્યાં જડને તો પોતામાં જ્ઞાની કેમ માને? દેહથી ને રાગથી પોતાના આત્માને અત્યંત જુદો અનુભવે છે.
જાણવારૂપ ક્રિયા તો મારી છે, ને આ શરીરની ક્રિયાઓ મારી નથી પણ જડની છે–આમ જાણનાર ભેદજ્ઞાની ધર્માત્માને શરીરાદિમાં પોતાપણાની કલ્પના કદી થતી નથી. ચેતનાગુણ તો આત્માનો છે, તે કાંઈ શરીરનો નથી, શરીર તો ચેતનારહિત જડ છે,-એવું જાણનાર જ્ઞાની પોતાની જ્ઞાનક્રિયાને શરીરમાં નથી જોડતા, આ ઈન્દ્રિયો વડે હું જાણું છું એમ નથી માનતા, તેમજ શરીરની ક્રિયાઓ મારાથી થાય છે-એમ પણ કદી માનતા નથી. શરીરને અને આત્માને ભિન્નભિન્ન જાણીને આત્મામાં જ જ્ઞાનને જોડે છે–તેમાં જ એકતા કરે છે.
આત્મા જાણનાર અંદર બેઠો છે માટે આત્માને લીધે દેહાદિની હાલવા-ચાલવા-બોલવાની ક્રિયાઓ વ્યવસ્થિત થાય છે–એમ નથી. આત્મા જાણનાર-દેખનાર છે તે શરીરાદિની ક્રિયાનો પણ જાણનાર જ છે, પણ તેની ક્રિયાનો કરનાર આત્મા નથી.
પ્રશ્ન:- આત્મા ન હોય ત્યારે કેમ શરીરની ક્રિયા થતી નથી ?
ઉત્તર- આત્મા ન હોય ત્યારે શરીર સ્થિર રહેલું છે તે પણ તેની એક ક્રિયા જ છે; તે સડે છે, ફૂલી જાય છે-તે પણ પુદ્ગલની ક્રિયા છે; તે વખતે પણ તેનામાં અનંતા રજકણો ક્ષણે ક્ષણે આવે છે ને જાય છે. જેમ ચાલવું તે એક ક્રિયા છે તેમ સ્થિર રહેવું તે પણ એક ક્રિયા છે. આત્મા હોય ત્યારે પણ શરીરની ક્રિયા શરીરથી થાય છે, ને આત્મા ન હોય ત્યારે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com