________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૭ હિતની જિજ્ઞાસા જાગી છે-એવા જીવને મોક્ષનો ઉપાય બતાવવા માટે આ શાસ્ત્રનો ઉપદેશ છે. “કામ એક આત્માર્થનું –એટલે જેને એક આત્માર્થની જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી, આત્માનો જ અર્થી થઈને શ્રીગુરુ પાસે હિતનો ઉપાય સમજવા આવ્યો છે ને પૂછે છે કે પ્રભો! આ આત્માને શાંતિ કેમ થાય? આ આત્માનું હિત કેમ થાય? એવા આત્માર્થી જીવને આ આત્માના મોક્ષનો ઉપાય આચાર્યદવ બતાવે છે.
જેને લક્ષ્મી કમ મળે કે સ્વર્ગ કેમ મળે–એવી ભાવના નથી પણ આત્માના હિતની ભાવના છે તે જિજ્ઞાસુ થઈને શ્રી આચાર્યદેવ પાસે તેનો ઉપાય સમજવા આવ્યો છે. લક્ષ્મીમાં કે સ્વર્ગના વૈભવમાં આત્માનું સુખ નથી. જો તેમાં સુખ હોત તો ઇન્દ્રો અને રાજાઓ પણ મુનિઓના ચરણની સેવા કેમ કરત? મુનિવરો પાસે તો લક્ષ્મી વગેરે નથી, અને ઇન્દ્ર પાસે તો ઘણો વૈભવ છે, છતાં તે ઇન્દ્ર પણ મુનિના ચરણે નમસ્કાર કરે છે. તે ઉપરથી એમ નક્કી થયું કે લક્ષ્મી વગેરેમાં સુખ નથી; અને લક્ષ્મી વગેરેની જેને ભાવના છે તેને આત્માના હિતની ભાવના નથી. અહીં તો બીજી બધી રુચિ છોડીને એક આત્માના હિતની જ તેને ભાવના છે એવા મુમુક્ષુ જીવને આચાર્યદેવ આત્માના હિતનો ઉપાય બતાવે છે.
આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ છે; તેની શ્રદ્ધા કરીને તેમાં લીન થતાં નિર્વિકલ્પ શાંતિ થાય તેનું નામ સમાધિ છે. આ સમાધિ તે મોક્ષનો ઉપાય છે, ને તેનું ફળ મોક્ષ છે.
અહીં, ગ્રંથકર્તાને તેમ જ શ્રોતાઓને આત્માની મુક્તિની અભિલાષા છે, તેથી મુક્તિ પામેલા એવા સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે. આ મંગલાચરણના શ્લોકમાં મોક્ષમાર્ગનું તેમ જ મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. સિદ્ધ ભગવાનને જાણતાં “આત્મા આત્મારૂપે જણાય છે ને પર પરરૂપે જણાય છે –આવું ભેદજ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com