________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨].
શ્રી અનુભવ પ્રકાશ છે. પુણ્ય-પાપની ભાવના કરવી તે ઝેર રૂપ છે, માટે આત્માની ભાવના કરવી, અનુપમ આનંદની ભાવના કરવી. નાનામાં નાનો અંશ જે જડ પરમાણુ આદિ છે તે પર છે, જડ અને બીજા જીવો આ આત્માથી પર છે. તે આત્માની વસ્તુ નથી. આત્મા તો જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણમય છે, એ જ મારું સ્વરૂપ છે. અનાદિ કાળથી જ્ઞાની અને મુનિઓ કહેતા આવ્યા છે કે પર પદાર્થથી આત્માનું કલ્યાણ થતું નથી પણ લોકોને એ વાત પકડાતી નથી. સિદ્ધગિરિ હોય કે સાક્ષાત્ તીર્થંકરદેવ હોય તો તે આત્માથી પર છે, એનાથી ત્રણ કાળમાં આત્માનું કલ્યાણ થાય નહિ. આમ અનંત કાળથી સંતો મુનિઓ કહેતા આવ્યા છે. પોતાનું કલ્યાણ પોતાથી થાય છે. એમ ભાવના કરવી-એમ રુચિ કરવી એ જ કર્તવ્ય છે.
હું દષ્ટિ દ્વારા દેખું છું, દર્શન દ્વારા દેખું છું અને જ્ઞાન દ્વારા હું જાણું છું. આંખમાં છિદ્ર નથી કે છિદ્ર દ્વારા આત્મા દેખે! નામકર્મની સંઘાત પ્રકૃતિનું ફળ એવું છે કે ઔદારિકાદિ શરીર છિદ્ર રહિત બંધાય છે, માટે શરીરમાં છિદ્ર નથી કે જે દ્વારા આત્મા રૂપને દેખે, પણ આત્મા જ્ઞાન દ્વારા જાણે છે. આંખથી આત્મા દેખતો નથી, આત્મા સ્વયં સિદ્ધ પોતાની પર્યાયથી જાણે છે અને દેખે છે. આ શરીરનો અંશેઅંશ આત્માથી જુદો છે, માટે આત્મા એનાથી જાણતો-દેખતો નથી. એવી પ્રતીતિ કરે તો શરીરાદિ પોતાથી પર છે એમ ભાસે અને અનાદિ વિભાવદષ્ટિનો નાશ થાય.
આત્મામાં વિભાવ થાય છે તે ઉપરથી ઊપડેલો ભાવ છે, અંદરથી આવેલો નથી. આત્મામાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે બધા ઉપર ઉપર તરે છે, જેમ પાણીમાં તેલ ઉપર તરે છે. એ વિકાર મારા સ્વભાવમાં નથી. ભગવાન આત્માનું જ્ઞાન અનાદિથી ગુમ થયું છે. ભ્રમ મટતાં અને ગુપ્ત જ્ઞાનશક્તિની પ્રતીતિ થતાં જ્ઞાન પ્રગટ થાય છે, શુદ્ધ-અશુદ્ધ બન્ને દશામાં જ્ઞાન તો શાશ્વતી શક્તિ સહિત જ છે અને ચિદ્વિકાર તો ક્રોધાદિરૂપ થતાં થાય છે. અજ્ઞાનથી ક્રોધ, માન, માયાદિ કરે તો થાય છે. નિર્વિકાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com