________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૨, શુક્ર ૨-૧-૫૩
પ્ર. - ૨૭
આ અનુભવપ્રકાશ ગ્રંથ છે. આત્મા હરખ-શોકને અનુભવે છે તે સંસાર છે. વિકાર રહિત આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. તેનું અવલંબન લઈ વીતરાગી દશા પ્રગટ કરવી તે ધર્મ છે. આત્માનો અનુભવ કહો, મોક્ષમાર્ગ કહો કે વીતરાગી દશા કહો –એ બધું એક જ છે.
શરીર અજીવ છે, ચેતન જાણનાર-દેખનાર છે, નિત્ય એકરૂપ સ્વભાવી કાયમી ચીજ છે, તેને બરાબર જાઓ. અંદર કેવું સ્વરૂપ છે, તેને જોવું ને અનુભવવું તે ધર્મ છે.
શરીર છૂટી જાય છે, પણ ભગવાન જ્ઞાનમૂર્તિ શાશ્વત રહે છે. જેમ ખડી સફેદાઈનો ગાંગડો છે તેમ આત્મા જ્ઞાનનો ગાંગડો છે; તેની અવસ્થામાં ભ્રાંતિ છે, મૂળ સ્વભાવમાં વિકાર નથી. દેહદેવળમાં રહેલો આત્મા શાશ્વત દીવો એવો ને એવો છે. તેનો અનુભવ કરો.
નાટડ્યિો અનેક સ્વાંગ ધારણ કરે. ઘડીમાં ગોરો થાય, ઘડીમાં સ્ત્રી થાય, રાજા થાય-એવા વેશ ધારણ કરે પણ નટ તો એનો એ છે; તેમ આત્માએ ગમે તેટલા પુણ્ય-પાપના ક્ષણિક પરિણામ કર્યા પણ વસ્તુ તો એની એ છે. એવા ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ કરવી તે ધર્મ છે. જેમ રત્નના દીવાને પવનના ઝપાટા લાગે પણ તે મચક ન ખાય, તેમ એક સમયની વિકારી પર્યાયને ગૌણ કરીને નિત્યાનંદ સ્વભાવને જો. સમ્યગ્દર્શનનો ધ્યેય ધ્રુવ સ્વભાવ એવો ને એવો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com