________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૭, મંગળ ૨૩-૧૨-૫૨
પ્ર. - ૧૭
અનાદિકાળથી આત્માનો સ્વભાવ કેમ અનુભવવામાં આવતો નથી તે બતાવે છે. આત્મા પ્રસિદ્ધ વસ્તુ છે તેની સન્મુખતા કેમ થઈ નથી તે બતાવે છે- (૧) જેમ કોઈનો જન્મ થયો ને જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો આવ્યો. અંદરમાં આંખનો પ્રકાશ એવો ને એવો છે, પણ બાહ્ય ચર્મના આવરણથી પોતાને દેખાતું નથી. જ્યારે કોઈ તબીબ મળ્યો ને કહ્યું કે તારી આંખમાં પ્રકાશ છે, આંખમાં વાંધો નથી, એવી ને એવી છે. તેણે જતન કરીને ચામડીનો લપેટો દૂર કર્યો, ત્યારે પોતે પોતાને દીઠો ને બીજું પણ જોવા લાગ્યો. આંખ ઉઘાડતાં સ્વ-પરને જોવા લાગ્યો. પોતે ઉપાય કર્યો ત્યારે આમ થયું.
(૨) એ પ્રમાણે આત્માનો જ્ઞાનસ્વભાવ છે, પણ પર્યાયમાં આવરણબુદ્ધિથી ચૈતન્યને ઢંકાયેલો માને છે. દષ્ટિ સંયોગ ઉપર હોવાથી ચૈતન્યને જોઈ શકતો નથી. પછી શ્રીગુરુ મળ્યા, તે ઉપાય બતાવે છે. જે જ્ઞાનપર્યાય પર તરફ, રાગ તરફ ને અલ્પજ્ઞતા તરફ વળેલી છે તે તારી ભૂલ છે, તેને સ્વભાવ તરફ વાળ- એમ ગુરુએ કહ્યું. આમ ગુરુએ ઉપાય બતાવ્યો. તારું હુંપણું ક્યાં લાગું પડયું? રાગમાં કે અલ્પજ્ઞતામાં હુંપણું માન્યું તે સાચું નથી. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ઢાંકવામાં નિમિત્ત છે, તેને ન જો. અવસ્થાદષ્ટિવાળો સંયોગને જુએ છે ને દ્રવ્યદૃષ્ટિવાળો સ્વભાવને જુએ છે. તારો સ્વભાવ તારાથી ખીલે છે. તારા સ્વભાવની મુખ્યતામાં પર જણાય છે, દ્રવ્યસ્વભાવની શ્રેષ્ઠતામુખ્યતાને ચૂકી પરને સર્વસ્વ જાણું તેમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com