________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથા ગુણસ્થાનથી જ નિર્વિકલ્પ અનુભવ; ગુણસ્થાનઅનુસાર પરિણામની વિશેષ મગ્નતા; સ્વાનુભવની તૈયારીવાળા જીવની દશા.
“પ્રશ્ન- એવો અનુભવ કયા ગુણસ્થાનમાં કહ્યો છે?
સમાધાન - ચોથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચોથા ગુણસ્થાને તો ઘણા કાળના અંતરાળે થાય છે, અને ઉપરના ગુણસ્થાને શીઘ્ર શીધ્ર થાય છે.
પ્રશ્ન- અનુભવ તો નિર્વિકલ્પ છે, તો તેમાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોનો ભેદ શો?
ઉત્તર- પરિણામોની મગ્નતામાં વિશેષતા છે; જેમ બે પુરુષ નાવ (અથવા નામ) લે છે, અને બંનેના પરિણામ નાવ (નામ) વિષે છે; ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ (અહીં સ્વાનુભવમાં પણ ) જાણવું.”
ચોથા ગુણસ્થાનની શરૂઆત જ આવા નિર્વિકલ્પ સ્વાનુભવપૂર્વક થાય છે, સમ્યગ્દર્શન કહો, ચોથું ગુણસ્થાન કહો કે ધર્મની શરૂઆત કહો તે આવા સ્વાનુભવ વગર થતી નથી. સ્વાનુભવને પ્રત્યક્ષ કહ્યો, તેમાં અતીન્દ્રિય વચનાતીત આનંદ કહ્યો, તેમાં કોઈ વિકલ્પ નથી એમ કહ્યું, તેથી કોઈને પ્રશ્ન ઊઠે કે આવો ઊંચો-અતીન્દ્રિય, પ્રત્યક્ષ સ્વાનુભવ કોને થતો હશે?-તો કહે છે કે આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે. આવી નિર્વિકલ્પ આનંદદશા ગૃહસ્થપણામાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ મતિશ્રુતજ્ઞાન વડે થાય છે. ચોથા ગુણસ્થાને વિશેષ-વિશેષકાળના અંતરે કોઈ કોઈ વાર આવો અનુભવ થાય છે. પહેલી વાર જ્યારે ચોથું ગુણસ્થાન પ્રગટયું ત્યારે તો નિર્વિકલ્પ અનુભવ થયો જ હતો, પણ પછી ફરીને એવો અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે; ને પછી ઉપરઉપરના ગુણસ્થાને તેવો અનુભવ વારંવાર થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk