________________
227
અરે, અવિચારી,આ માયા-રૂપી જાળથી તેં શું કર્યું કે, મારું મન અપ્રસન્ન-પણાને પામ્યું? મારું મન સમર્થ હોવા છતાં મોહમાં કેમ ડૂબી ગયું તે આશ્ચર્ય છે! લોક-પ્રસિદ્ધ સર્વ વ્યવહાર ના સિદ્ધાતોના રહસ્ય જાણવા છતાં મન ને મોહ આપનાર આ આપત્તિ મેં કેવી રીતે અનુભવી? જો કે, મન મોટા જ્ઞાનના અભ્યાસ વાળું હોય-તો- પણ તે આ તુચ્છ દેહમાં રહેનાર છે, તેથી મોટા મોટા વિદ્વાનોને પણ ઘણીવાર મોહ થઇ જાય છે.
અરે,સભાસદો,ઇન્દ્રજાળ કરનાર આ મનુષ્ય મને થોડા કલાકોમાં જે બતાવ્યું તેનું વૃતાંત હું તમને કહું છું, તે તમે સાંભળો.
પૂર્વે,ઇન્ટે કરેલી માયાની સૃષ્ટિ નો નાશ થવાથી,બ્રહ્માએ જેવી રીતે મુહૂર્ત-માત્ર,માં માયાનું કૌતુક જોયું હતું.તેવી રીતે,આ સમયે,મેં પણ ઘણા પ્રકારનું કૌતુક જોયું. આમ કહી રાજાએ પોતાનું વૃતાંત કહેવાનો પ્રારંભ કર્યો.
(ઇન્દ્ર ની કથા-એવી છે કે-પૂર્વે જયારે ઇન્દ્ર સહાય વગરનો હતો ત્યારે બલિરાજા એ ઇન્દ્રનો પરાભવ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ઇન્ડે માયાની સહાયતાથી નવું સૈન્ય ઉત્પન્ન (ઇન્દ્રજાળ) કરીને બલિરાજાને માયાના બંધનથી મોહ પમાડ્યા ત્યારે માયાના બંધન માંથી છુટવા-બલિરાજાએ બ્રહ્મા ને પ્રાર્થના કરી.તેથી બ્રહ્મા ઇન્ડે કરેલી માયાની સૃષ્ટિ નો નાશ કરવામાં પ્રવર્યા, પણ તેમનાથી પણ તેનો નાશ થયો નહિ, અને બ્રહ્માએ તે “માયા નું કૌતુક જોયું.એવી પુરાણો માં કથા છે)
(૧૦૬) રાજાનું વતાંત-ચંડાળ કન્યા સાથે વિવાહ
રાજા કહે છે કે-હે, સભાજનો,અનેક પ્રકારના વન અને નદીથી યુક્ત આ દેશનો હું રાજા છું અને અહીં આ સભામાં સિંહાસન પર બેઠો છું તેટલી વારમાં ઇન્દ્રજાળ કરનાર આ માણસ અહીં આવ્યો અને તેણે મારી પાસે ચપળતાથી મોરપીંછ ની મુઠ ફેરવી, કે જેને જોયા પછી થોડી જ વારમાં આવેલા ઘોડાની પાસે જઈને, મારા ભમેલા મનથી કોઈની સહાયતા વગર તે ઘોડા પર બેઠો.અને અહીંથી પ્રયાણ કર્યું. વનમાં મૃગયા કરતાં કરતાં તે ઘોડો –પોતાના ચપળ વેગથી -મને ઘણે દૂર લઇ ગયો.
તેવામાં મારી નજરે એક વન જોવામાં આવ્યું કે જે વિષમ,ભયંકર અને વૃક્ષ કે જળ વિનાનું હતું. તે સમયે ઘોડો પણ થાકી ગયો હતો.તે વિષમ વનમાં માણસો નો મેળાપ જોવામાં જ નહોતો આવતો. તે વનમાં આવવાથી મારા મનમાં ખેદ થયો.સૂર્યાસ્ત સુધી ત્યાં હું ફર્યો, અને અતિ કષ્ટ થી તે વન ને ઓળંગી હું આગળ ચાલ્યો અને એક બીજા વનની પાસે આવ્યો.
તે વનમાં વૃક્ષો પર પંખીઓના અવાજ સંભળાતા હતા,અને કોઈ કોઈ જગ્યાએ ઘાસ ઉગેલું હતું. આગળ ના વન કરતાં આ વન કંઈક સુખ-રૂપ લાગે તેવું હતું. તે વનમાં ફરતા ફરતા હું એક લીંબુ ના ઝાડ પાસે આવ્યો અને ત્યાં વિશ્રાંતિ લેવાનો વિચાર કર્યો.થોડીક વારમાં તો અચાનક ઘોડો ત્યાંથી ચાલ્યો ગયો. અને લાંબો પંથ કાપવાને લીધે અને થાક ને લીધે,તે વૃક્ષ ના નીચેના મનોહર પોલાણમાં હું લીન થઇ બેઠો.
જેમ,જેની સ્મૃતિ ભ્રષ્ટ થઇ હોય અને જે અંધારા કુવામાં ડૂબેલો હોય, તેણે એક રાત્રિ કલ્પ સમાન થાય છે, અને જેમ,માર્કડેય ઋષિને કલ્પ ના જળમાં ફરવાથી એક રાત્રિ કલ્પ સમાન થઇ પડી હતી, તેમ, હું પણ મોહમાં મગ્ન થયો હતો અને રાત્રિ મને કલ્પ સમાન થઇ પડી.