________________
215
ભિન્નભિન્ન મતવાદીઓએ પોતાના શાસ્ત્રમાં ભેદ કહેલા છે તર્ક થી જ કહેલા છે.અને તેવા તર્કોને તત્વજ્ઞાનીઓ માનતા નથી,તથા તેનું શાસન પણ કરતા નથી.
હે,રામ,અનેક પ્રકારના તર્ક-વિતર્ક થવા એ મનની સ્વાભાવિક શક્તિ છે અને તે શક્તિને લીધે જ ભિન્નભિન્ન મતવાદીઓએ ભિન્નભિન્ન તર્કો કરેલા છે. અને તેમાં શ્રદ્ધા ના જડ-પણાથી તે તર્કોમાં વિચિત્રતા રહેલી છે. જેમ,ચેતન-રૂપ કરોળિયા માંથી જડ-તંતુ ની ઉત્પત્તિ થાય છે, તેમ,નિત્ય-પ્રબુદ્ધ-પરમ-પુરુષ (બ્રહ્મ)માંથી, પ્રકૃતિ ની ઉત્પત્તિ થઇ છે.અવિદ્યા (અજ્ઞાન-કે માયા-કે પ્રકૃતિ) ના પરવશ-પણા થી, ચિત્તની ભાવનાઓ સ્થિરતા ને પામી છે, તેથી જુદાજુદા વાદીઓ ના મતમાં મનના જે નામ-ભેદ અને રૂપ-ભેદ છે, તે મન ની શક્તિ વડે જ કલ્પિત થાય છે.અને મલિન ચિત્ત ની “જીવ,મન,બુદ્ધિ,અહંકાર કે અહંકૃતિ” એવી સંજ્ઞા (નામ) પડેલી છે.અને તે જ આ જગતમાં ચેતન જીવચિત્ત-વગેરેથી કહેવાય છે. પણ આ સર્વ માં “એકતા” (સર્વ એક જ છે-એમ) હોવાને લીધે,એમાં વિવાદનું કારણ નથી.
(૯૩) આકાશત્રય નું વર્ણન
રામ કહે છે કે-હે,બ્રહ્મન,આ જગત-રૂપી આડંબર મનથી જ ઉત્પન્ન થયેલો છે,માટે જગત એ મન નું કર્મ છે, એમ તમારા કહેવાનો અર્થ મને હવે સમજવામાં આવે છે.
વશિષ્ઠ કહે છે કે-મરૂદેશ (રણ-પ્રદેશ) નો પ્રચંડ તાપ તે પ્રકાશ (સૂર્ય-પ્રકાશ) ના આવરણ-રૂપ, (સૂર્ય-પ્રકાશ થી જ બનતા) મૃગ-જળ (ઝાંઝવાના પાણી) નો જેમ અંગીકાર (સ્વીકાર) કરે છે, તેમ, દૃઢ ભાવથી આસક્ત થયેલું,”મન” એ આત્માના આવરણ-રૂપ અજ્ઞાન વડે આ જગતનો અંગીકાર કરે છે. અને આ બ્રહ્મ-રૂપ જગતમાં તે મન પણ એક આકૃતિ-પણ ને પામે છે. અને કોઈ સમયે તે-મનુષ્ય-રૂપ, દેવરૂપ,દૈત્યરૂપ, યક્ષ,ગંધર્વ-વગેરે રૂપે થાય છે. તો કોઈ સમયે, આકાશ ને નગર-રૂપે પણ થાય છે. આ પ્રમાણે મન જ વિસ્તાર-વાળી આકૃતિથી સર્વ સ્થળે વૃદ્ધિ પામે છે. માટે શરીર પણ એક ઘાસના તણખલા કે વેલા-વગેરેથી વિશેષ નથી.એટલે તે શરીર નો વિચાર કરવાથી કંઈ ફળ નથી, માત્ર મન જ વિચાર કરવા યોગ્ય છે. મન વડે આકુલ થયેલું આ જગત વિસ્તાર પામેલું છે, અને જો મન ના રહે તો બાકી (અવશેષ) પરમાત્મા જ રહે છે. આત્મા (પરમાત્મા) સર્વ-પદથી અતીત છે,સર્વ સ્થળે ગમન કરનાર છે, સર્વના આશ્રય-રૂપ છે,અને તેના પ્રસાદથી (આપવાથી) મન,આ સંસારમાં દોડે છે, તથા નાચે છે.
મન નું જે “કર્મ” છે તે જ શરીરના કારણભૂત છે.અને જન્મ-મરણ તે મન ના જ થાય છે. આત્માને તેવા ગુણ નથી વિચાર કરવાથી મન લય પામે છે.અને મનના લય-માત્ર થી મોક્ષ થાય છે. મન નો ક્ષય થયા પછી પ્રાણીની મુક્તિ જ છે.અને મુક્તિ પછી ફરીવાર જન્મ નથી.
રામ પૂછે છે કે-હે,ભગવન,તમે પહેલાં ત્રણ પ્રકારની જાતિ (સત્વ-રજસ-તમસ) એમ કહી,અને મન તેમાં પ્રથમ કારણ છે તેમ કહ્યું, તો પછી,શુદ્ધ ચૈતન્ય-તત્વમાંથી જગત-રૂપી વિચિત્રતા ઉત્પન્ન કરનાર, મન કેવી રીતે ઉત્પન્ન થયું?તથા કેવી રીતે વૃદ્ધિ પામ્યું?
વશિષ્ઠ કહે છે કે-હે, રામ, (૧) ચિત્તાકાશ (૨) ચિદાકાશ અને (3) ભુતાકાશએવા સર્વ સામાન્ય ત્રણ જાતનાં આકાશ છે. તથા સર્વત્ર તેમની વ્યવસ્થા છે.શુદ્ધ ચૈતન્યની શક્તિથી તેમને સત્તા મળેલી છે. (૧) "સઘળા પ્રાણી-માત્ર ની અંદર ની વસ્તુ અને બહારની વસ્તુઓ,