________________
170
સૂર્યની પેઠે પ્રકાશિત તથા "અપરિછિન્ન ચિદ-દૃષ્ટિ" થી (ઝાકળના કણ જેવા) બ્રહ્માંડ-રૂપ ને તેમજ મનુષ્યાદિ દેહને પોતાનામાં અનુભવે છે. ત્યારે તેને "શબ્દ તથા તેના અર્થ ના વિભાગ" ની સ્કૂર્તિ ના હોવાથી "હું કોણ છું?" તેની પણ તેને ખબર પડતી નથી હોતી પણ, પછી "પુરુષાર્થના વિચાર" સહિત પૂર્વના હજારો જન્મ નું સ્મરણ થવાથી તેને "ગર્ભ"માં "શબ્દ અને તેના અર્થ" ના વિભાગ ની ખબર પડે છે.
પિંડમાં સ્કુટ (ફુરેલા) "અહંભાવ"નું સ્પંદન થવાથી તેને મુખના એક ભાગમાં -હવે પછી ઉત્પન્ન થનારી, જીહવા (જીભ) ઇન્દ્રિય દ્વારા "રસ" નો અનુભવ થાય છે. તેજનું ફુરણ થવાથી,હવે પછી ઉત્પન્ન થનારી,આંખ દ્વારા પ્રકાશનો અનુભવ થાય છે.અને, તે જ પ્રમાણે-ગંધ ની સ્કૂરણા દ્વારા નાક દ્વારા ગંધ નો અનુભવ થાય છે.
આવી રીતે તે જીવાત્મા "કાક-તાલીય ન્યાય" (કાગનું બેસવું ને ઝાડનું પડવું) થી, "પૂર્વની વાસનાથી કલ્પિત ઇન્દ્રિયો " (જીભ-આંખ-નાક-વગેરે) ને તે પોતાનામાં જુએ છે.કે જે ઇન્દ્રિયો પછી પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે કે જે બહારના અર્થ (અવાજ-પ્રકાશ-વગેરે)ને પ્રગટ કરનાર દેહમાં આવેલાં છિદ્રો તરીકે દેખાય છે.
આમ હે, રામ,સમષ્ટિ અને વ્યષ્ટિ-રૂપ જીવનો પ્રતિભાસ રૂપે "આતિવાહિક દેહ" ઉત્પન્ન થાય છે. બ્રહ્મની (પર) સત્તા નું કોઈનાથી એ વર્ણન થઇ શકે તેમ નથી.તે સત્તા અચળ હોવા છતાં ચળ જણાય છે. અને એ જ સત્તા આતિવાહિક ભાવને પ્રાપ્ત થઇ હોય તેમ જણાય છે.કે જે આતિવાહિક દેહ-સત્તા અજ્ઞાન થી જ જોવામાં આવે છે.અને જ્ઞાનથી નાશ પામે છે.
આતિવાહિક દેહ એ આત્માથી ભિન્ન છે-એવું સંવેદન થવા થી-તે ભિન્ન છે. તે (આતિવાહિક-દેહ) બ્રહ્મ -રૂપ છે તેવું સંવેદન થવાથી તે બ્રહ્મ રૂપ છે, તેમજ ભિન્નતા અને એકતાનું સંવેદન થવું તે પણ બ્રહ્મ થી ભિન્ન નથી.
રામ પૂછે છે કે તમારા કહેવા પ્રમાણે,પરબ્રહ્મ ના એક-પણા થી,બ્રહ્મ ના વિષે અજ્ઞાન નો સંભવ નથી, અને અજ્ઞાન વિના જીવ-વગેરેની ભેદ-કલ્પના ઘટતી (થતી) નથી, માટે બ્રહ્મથી જુદો (અતિરિક્ત) મોક્ષ શું છે? તથા મોક્ષ વિષે વિચાર કરવાનું કારણ શું?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તમારો પ્રશ્ન સિધ્ધાંત ને સમયે શોભે એવો છે. જેમ,સમય વિના ધારણ કરેલી પુષ્પ ની માળા સારી હોય તો પણ શોભતી નથી, તેમ મનુષ્ય ને પરિપાક દશા ન આવી હોય ત્યાં સુધી મોક્ષ શું છે તે માટે વિચાર કરવાનું શું કારણ? એવાં વચન પણ અનર્થ-રૂપ છે.
પદાર્થ માત્ર ને રોકનાર (બંધન કરનાર) તથા મુક્ત કરનાર "કાળ" (સમય) છે. માટે કાળે કરીને સર્વ ફળ મળે છે.ઉપર પ્રમાણે તે જીવાત્મા કાળે કરીને હિરણ્ય-ગર્ભ-બ્રહ્મા ને પામે છે. તે બ્રહ્મા,પ્રણવ (ૐ) ના ઉચ્ચારથી અર્થશાન થવાથી સર્વ પદાર્થો ને જોઈ શકે છે.ને મનો-
રાજ્ય કરે છે. તેથી "તન્મય-પણું" પામે છે.
જે આ જગત જોવામાં આવે છે તે અસત તથા આકાશ-રૂપ છે. પર્વત-વગેરે જે ઊંચા-મોટા આકારો છે તે પણ આકાશ-રૂપ છે તો પછી નાનો પદાર્થ આકાશ-રૂપ હોય - તેમાં શું આશ્ચર્ય? માટે જે કંઈ દેખાય છે તેની ઉત્પત્તિ નથી કે નાશ પણ નથી.