________________
રાગ-દ્વેષ-વગેરે જેવા મોટા તરંગો (અનર્થો) પેદા થાય છે.
જ્યાં સુધી મનુષ્ય લક્ષ્મી ને પામ્યો ના હોય ત્યાં સુધી,તે સ્વજન કે પરજન ને ટાઢો ને કુણો લાગે છે, પણ કોઈ એક ઠેકાણે નહિ રહેનારી -ને-ચારે તરફ દોડાદોડ કરતી લક્ષ્મી,જ્યાં મનુષ્ય પાસે આવે છે ત્યારે તે અહંકારથી કઠિન (જડ) થઇ જાય છે.
ઝેરી લતા (વેલા) ની પેઠે જ લક્ષ્મી,સુખ માટે જ નહિ પણ દુઃખ માટે જ વધે છે.ને અંતે વિનાશ લાવે છે. જેમ,મેઘ ધનુષ્યના રંગો ક્ષણિક રહે છે છતાં પણ મનને ગમે છે, તેમ, લક્ષ્મી પણ ક્ષણિક રહે છે, છતાં પણ તેના રંગો મનને ગમે છે. ઉનાળા માં જણાતા ઝાંઝવા ના જળ ની જેમ જીવ ને ઠગનારી છે. ને પાણી ની લહેર ની જેમ કોઈ સ્થળે એક ઠેકાણે સ્થિર થઇ ને રહેતી નથી.
આવી લક્ષ્મી સાહસથી મળનારી છે, પણ અનેક અનર્થોને ઉત્પન્ન કરનારી ને ક્ષણભંગુર છે. માટે આવી લક્ષ્મી (ધન) -મારા મનને બહેલાવી શકતી નથી,મને તે બોજા-રૂપ લાગે છે.
(૧) મુર્ખના જીવન ની નિંદા
જેમ,વહેલી સવારે પાંદડાં ના ખૂણા પર ટકી રહેલું ઝાકળ નું જલબિંદુ થોડા સમય સુધી જ રહે છે, તેમ મનુષ્ય નું આયુષ્ય (જીવન) પણ ક્ષણભંગુર છે. તેમ છતાં “વિષયો-રૂપી” સર્પના ડંશથી જેમનું ચિત્ત જર્જરિત થઇ ગયું છે, ને જેને આત્માનો વિવેક પ્રાપ્ત થયો નથી,વળી જે શરીરને જ આત્મા માને છેએવા લોકો નું જીવન ખાલી પરિશ્રમ અને કષ્ટ ના કારણ રૂપ છે.
પણ જેમણે “જાણવા જોગ્ય-વસ્તુ” (સત્ય-બ્રહ્મ-આત્મા) ને જાણી લીધી છે, તે પરમાનંદ ને પ્રાપ્ત થાય છે. હે મુનિ,આવા અસ્થિર અને ક્ષણ-ભંગુર આયુષ્ય(જિંદગી)ને પકડી રાખવાની આશા હું કદી રાખી શકું નહિ, માત્ર તૃષ્ણાતુર (આશાઓ-ઇચ્છાઓ) વાળા મૂઢ (મૂરખ) માણસો જ આવા વ્યર્થ આયુષ્ય ને લાંબુ કરવા ઈચ્છે છે.ને આવી ઈચ્છા કરીને તે દુ:ખ ને જ બોલાવે છે.(આમંત્રણ આપે છે)
સામાન્ય માણસો મૂર્ખ ની જેમ જ જીવન જીવે છે તેવું તો પ્રાણીઓ પણ જીવે છે, પરંતુ જેનું “મન” -તત્વજ્ઞાનને લીધે “તુચ્છ-રૂપ” થઇ ગયું છે, તે જ સાચો જીવ છે. આ જગતમાં જન્મેલા જે પુરુષોને ફરીવાર જન્મવાનો ભય મટી જાય (મુક્ત થઇ જાય)તેમનું જ જીવવું સફળ છે, બીજા પુરુષો નું જીવવું –તે તો ભાર ઉપાડતા,ઘરડા ગધેડા ના જીવવા જેવું છે.
અવિવેકી,વિષયોમાં રાગ-વાળા,ને આત્મા ને નહિ જાણનાર નેશાસ્ત્રો ભારરૂપ છે, જ્ઞાન ભારરૂપ છે, શરીર ભારરૂપ છે. જેમ,ભાર ઉપાડી વૈતરું કરનાર (ગધેડા) ને - ભાર એ દુઃખદાયી છે, તેમ, દુબુદ્ધિ પુરુષને આયુષ્ય,મન,બુદ્ધિ,અહંકાર-એ સર્વ દુઃખ-દાયક જ છે.
આવું કોઈ પણ સારા ગુણો વગરનું,મરણ ના પાત્ર-રૂપ ને જે મુક્ત થયું નથી તેવું જીવન – જગતમાં જેટલું તુચ્છ છે તેવું બીજું કંઈ પણ તુચ્છ નથી.ને,આવું જીવન જીવવાનો કોઈ અર્થ નથી.