________________
131
ભવિષ્યમાં વીતશે અને હાલમાં વીતી રહ્યા છે.કે જેની ગણત્રી કરવાને કોઈ સમર્થ નથી. આ રીતે ભીંતની પેઠે નજરે દેખાતું આ વિશ્વ એ "સ્થળ સંકલ્પ" વિના બીજું કંઇ જ નથી . જેમ જેમ તેની અંદર વિચાર કરીએ છીએ તેમતેમ એ વિશ્વ ઉડતું જ જાય છે.
હે,રામ,તેને વિષે હવે તમે પોતાના અનુભવ થી વિચારી જુઓ. વિચાર કરતાં,જગતને ઉત્પન્ન કરનાર જે ચિત્ત (મન) છે તે સાક્ષી (આત્મા) થી જુદું પડતું નથી.અને જે સાક્ષી છે તે,પર-બ્રહ્મથી જુદો પડતો નથી. જેમ પાણીમાં વમળ એ વાસ્તવિક રીતે સાચું નથી, જે પાણી છે તેનું જ તે વમળ છે. તેમ,જગત પણ વાસ્તવિક રીતે સાચું નથી, પણ જે દ્રષ્ટા (પરમાત્મા) છે તે જ જગત છે.
અનાદિ "માયા-રૂપ" આકાશમાં "ચૈતન્ય" નો જે ચળકાટ છે,તે જ ભવિષ્યમાં અનેક નામરૂપાત્મક થનારું, જગત છે,વળી જે "માયા" છે,તે આકાશમાં ના ખાડા ની જેમ,"ચૈતન્ય" માં જ કલ્પાયેલી છે. "જગત" શબ્દ નો અને "જીવ" શબ્દ નો જે અર્થ મારા સમજવામાં છે તે "બ્રહ્મ" જ છે. પણ જે તમારા સમજવામાં છે તે "મુદ્દલે" ય (સાચો અર્થ) નથી.
અને આમ છે-એટલે લીલા અને સરસ્વતી સર્વમાં વ્યાપક હતાં.પરમાત્મા ની પેઠે તેઓ સ્વચ્છ હતાં. અને તેમનાં શરીર સંકલ્પમય હતાં, તેથી તેમની ગતિ કોઈ પણ સ્થળે અટકે તેમ નહોતી. ચિદાકાશની અંદર જે જે સ્થળે તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે, ત્યાં ત્યાં તે ઉદય કરી શકે એમ હતું. તેથી જ તેઓ વિદુરથરાજાના ઘરમાં સૂક્ષ્મ છિદ્રો વડે પ્રવેશ કરી શક્યાં.
ચિદાકાશ સર્વ પ્રદેશોમાં અને સર્વત્ર છે. તેમાં સૂક્ષ્મ દેહ (લિંગદેહ કે આતિવાહિક દેહ)એ જ્ઞાન ના પ્રભાવથી, ધાર્યા પ્રમાણે વિચરી શકે છે.એ દેહ ને કેમ રોકી શકાય? વળી શા કારણથી અને કોણ તેને રોકી શકે?
(૪૧) વિદરથ ના વંશ નું અને સરસ્વતીએ આપેલ આત્મબોધ નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે, રામ,એ બંને દેવીઓએ તે રાજા (વિદુરથ) ના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે તે રાજાનું ઘર જાણે બે ચંદ્રના ઉદય થી સંયુક્ત થયું હોય તેમ,શ્વેત પ્રકાશ-વાળું થયું.અને ઘરમાં કલ્પવૃક્ષ ના પુષ્પોની સુગંધી,નિર્મળ અને મંદમંદ પવન વાવા લાગ્યો.
ત્યાં એક રાજા સિવાયનાં સર્વ સ્ત્રી-પુરુષોને ગાઢ નિંદ્રા આવી ગઈ. બે દેવીઓનાં શરીર ની કાંતિના પ્રવાહથી આહલાદ પામેલો તે રાજા,જેમ અમૃત ના છંટકાવ થી જાગ્રત થયો હોય તેમ જાગ્રત થયો,અને બે દેવીઓ ને આસન પર બેઠેલી જોઈને મનમાં વિસ્મય પામેલો, તે પળમાં વિચાર કરીને શય્યા માંથી ઉભો થઈને પોતાના વસ્ત્રાલંકારો ને વ્યવસ્થિત કરી, પુષ્પોના કરંડિયા માંથી પુષ્પો નો ખોબો ભર્યો,ને પછી પૃથ્વી પર પદ્માસન થી બેસી,પ્રણામ કરી બોલ્યો-કે
"ત્રિવિધ તાપને મટાડવામાં ચંદ્રની કાંતિઓરૂપ અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં સૂર્યની કાંતિ-રૂપ,હે બંને દેવીઓ તમારો જય હો, જય હો" અને આમ કહી તેણે પુષ્પાંજલિ નાખી.
પછી,દેવી સરસ્વતીએ,લીલાને રાજાના જન્મની વાત સંભળાવવા,જોડે સૂતેલા એક મંત્રીને પોતાના સંકલ્પ થી જાગ્રત કર્યો મંત્રીએ જાગ્રત થતા જ બંને દેવીઓને પ્રણામ કર્યા, દેવી સરસ્વતીએ પૂછ્યું કે રાજા,કોણ છે?કોનો પુત્ર છે?ને આ દેશમાં ક્યારે જમ્યો છે? ત્યારે મંત્રીએ કહ્યું કે હે દેવીઓ,હું તમારા આગળ જે કંઈ બોલી શકું છું તે આપનો જ પ્રભાવ છે. હું મારા સ્વામી ના જન્મ નું વૃતાંત કહું છું તે તમે સાંભળો.