________________
129
જે રીતે અસ્ત કે ઉદય પામવા ધારે છે તે તે રૂપે થઇ શકે છે.અને પાછળથી લાંબા કાળનો (સમયનો) "અનુભવ" કે પરિચય થતાં-તે (મન) એક પ્રકારના દૃઢ અધ્યાસને પકડી બેસે છે.
ચિત્ત (મન) અને સાક્ષી (આત્મા)-એ અધિષ્ઠાન થી જુદા નથી જ. કારણકે તેમની સત્તા અધિષ્ઠાન (પરમાત્મા) ની સત્તા થી જુદી નથી. "ચિત્તાકાશ,ચિદાકાશ અને આકાશ" એ ત્રણે એક-રૂપ જ છે, કેમ કે અધિષ્ઠાન વગર તેમનું અસ્તિત્વ સંભવતું જ નથી.
એ ચિત્ત-રૂપી શરીર વાસનાઓને અનુસરીને જ્યાં જવા ની કે જે આકારે થવાની ઈચ્છા કરે છે, ત્યાં તે જઈ શકે છે અને તેવા આકારે પણ થઇ શકે છે. એ ચિત્ત ત્રસરેણુ ની અંદર રહી શકે છે અને આકાશના ગર્ભમાં વસી શકે છે.એ ચિત્ત જ આકાશ-રૂપ થાય છે. અને પોતાનામાં પોતાનાથી અભિન્ન એવાં કરોડો બ્રહ્માંડોને ધારણ કરે છે. ને બ્રહ્માંડ-રૂપ થઇ ને પૂર્વ-કર્મ ને અનુસરતી પ્રવૃત્તિઓ પણ કરે છે,
જેમ.ઝાંઝવાંનું જળ મિથ્યા હોવા છતાં પણ ચિત્ત થી ઉદય પામે છે,એવો ચિત્ત થી મિથ્યા-ભ્રમ ઉદય થાય છે, અને આ પ્રમાણે - આ સઘળું મિથ્યા બ્રહ્માંડ પણ ચિત્ત થી ઉદય પામ્યું છે.
શ્રીરામ પૂછે છે કે-ચિત્ત જ જગત-રૂપ છે કે નથી? જો ચિત્ત જગત રૂપ હોય તો - અને પ્રત્યેક પ્રાણીઓનાં ચિત્ત ભિન્નભિન્ન હોય તો જગત પણ ભિન્નભિન્ન હોવાં જોઈએ. વળી જો ચિત્ત જગત થી ભિન્ન હોય તો ચિત્ત નો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રત્યેક પ્રાણી નું ચિત્ત -એ જગતને ઉત્પન્ન કરવાની શક્તિ-વાળું છે, અને, જેટલાં ચિત્તો છે-તેટલી જ "જગત-રૂપી ભ્રાંતિઓ" છે. જગતના અનંત સમૂહો-કોઈને નિમેષમાત્રમાં ઉદય અને અસ્ત પામે છે-તોકોઈને એક એક કલ્પ -ઉદય કે અસ્ત પામે છે. હે,રામ,એ વિષે હું ક્રમ કહું છું તે તમે સાંભળો.
મરણ-રૂપ,મૂર્છા પ્રત્યેક પ્રાણીના અનુભવમાં આવે છે. તેને તમે પ્રત્યેક મહા-પ્રલય-રૂપ રાત્રિ સમજો. અને એ મહા-પ્રલય-રૂપ રાત્રિ પૂરી થયા પછી,સર્વ પ્રાણીઓ જુદીજુદી સૃષ્ટિઓ પેદા કરે છે. અને તેઓ "સંભ્રમ થી પ્રતીત થતા પર્વત ના નૃત્ય ની પેઠે" સ્વાભાવિક રીતે જ પોતાની ત્રણ મિથ્યા અવસ્થાઓને દેખે છે.
જેમ,પરમાત્મા ના "સમષ્ટિ-મન-રૂપ-હિરણ્યગર્ભ" એ મહાપ્રલય-રૂપ રાત્રિના અંતમાં આ જગતને સર્જે છે, તેમ પ્રત્યેક પ્રાણી પણ પોતાના મરણના અંતમાં જુદાજુદા જગતને સર્જે છે.
શ્રીરામ કહે છે કે-જેમ મરણ પામ્યા પછી પ્રાણીઓએ કરેલો સર્ગ પૂર્વ-જન્મ ની વાસનાથી થતો માનવામાં આવે છે, તેમ હિરણ્યગર્ભે કરેલો લાંબા કાળા સુધીરહેનારો સર્ગ પણ પૂર્વ-જન્મ ની વાસના થી થતો માનવો જોઈએ,અને જો તેમ હોય તો,હિરણ્ય-ગર્ભ સત્ય-સંકલ્પ હોવાને લીધે તેની પૂર્વ-વાસના પણ, સત્ય હોય અને તેણે કરેલા પ્રપંચ ને સાચો માનવો જોઈએ.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, મહા-પ્રલય માં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ -આદિ સર્વ વિદેહ-મુક્તપણે પામે છે. એટલે તમારી આ કલ્પના-મુજબ બ્રહ્મા-વગેરે ને પૂર્વજન્મ ની વાસના રહેવાનો સંભવ જ ક્યાં છે? આપણે "વ્યષ્ટિ જીવો" છીએ અને જો આપણે પણ જ્ઞાન થવાથી મુક્તિ પામીએ છીએ તો - પૂર્વ-કલ્પ-ના બ્રહ્મા-વગેરે તો વિદેહ-મુક્ત થયા વિના કેમ જ રહે?