________________
121
સુનું લાગે છે.તો આપ અમારા શોક નો નાશ કરો.
પુત્રે એ પ્રમાણે કહ્યું-એટલે લીલાએ પુત્રના માથા પર પોતાના હાથ થી સ્પર્શ કર્યો, કે જેનાથી, જયેષ્ઠ શર્માના દુઃખ નો નાશ થયો અને ઘરનાં સઘળાં મનુષ્યો તે દેવીઓનાં દર્શન માત્ર થી દુઃખ-રહિત અને શોભાવાળા થયાં.
શ્રીરામ પૂછે છે કે-એ લીલાએ પોતાના પુત્ર જયેષ્ઠ શર્માને દેવી-રૂપે દર્શન દીધું પણ શા માટે માતા-રૂપે દર્શન ના દીધું? પ્રથમ મારા આ સંશય ને મટાડો.
વશિષ્ઠ કહે છે કે-જે અજ્ઞાની મનુષ્ય "કલ્પિત એવા" પૃથ્વી વગેરે ના સમૂહ-રૂપે બનેલા દેહને - "ધૂળ-ભૂત-મય" સમજે છે, તેની દ્રષ્ટિમાં એ દેહ -ધૂળ જ થઇ જાય છે.પણ, જ્ઞાની મનુષ્યો ને તો તે "ધૂળ-દેહ" કેવળ બ્રહ્મ-રૂપે જ રહે છે.
હે,રામ,જેમ બાળક ને તેની સામે ઊભેલો પુરુષ "તે પુરુષ (માનવી) છે" એમ જો ના સમજાય તો-તે બાળકને તે "પુરુષ" એ "ભૂત" લાગે છેતેમ,અજ્ઞાની ને આ પૃથ્વી-આદિ-પદાર્થો,મિથ્યા છતાં, તેનું તત્વ નહિ સમજાયાને લીધે "સત્ય" ભાસે છે.
જેમ,સ્વપ્નમાં,પૃથ્વી-આદિ-રૂપે પ્રતીત થયેલા પદાર્થો,"આ સ્વપ્ન છે" એમ જણાયાથી, ક્ષણ માત્રમાં તે પૃથ્વી-આદિ-રૂપ થી રહિત થઇ જાય છે, તેમ,જાગ્રતમાં પણ પ્રતીત થતા પદાર્થોમાં (પૃથ્વી-વગેરેમાં) તેનું "તત્વ" જણાયા થી ક્ષણ માત્રમાં તે "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે.
"બ્રહ્મ" માં "ભાવના" પ્રમાણે જ તે તે પદાર્થો ના આકારો સ્કૂરે છે.અને તે આકારો,ઘણા કાળ (સમય) ના અભ્યાસ થી,"ધૂળ" પ્રતીત થાય છે. નરી આંખે દેખાય છે) પણ વાસ્તવિક રીતે તેનું કોઈ જુદું રૂપ નથી જ.
હવે,લીલા -તો યથાર્થ રીતે સમજાતી હતી કે પૃથ્વી-વગેરે પદાર્થો મુદ્દલ છે જ નહિ, અને જે "બ્રહ્મ" છે -તે જ "કલ્પના ને લીધે મિથ્યા "પ્રપંચ-રૂપ" (માયા-રૂપ) ભાસે છે. અને આથી પુત્ર પ્રત્યે સ્નેહ (આસક્તિ) નહિ રહેવાને લીધે તેણે પોતાના પુત્રને માતા-રૂપે દર્શન આપ્યું નહિ.ઉત્તમ જ્ઞાન વાળા મનુષ્યો ને "રાગ-દ્વેષ" ની દૃષ્ટિ કેમ કરીને હોય?
હે, રામ,અખંડ બોધ-રૂપી "બ્રહ્મ" એ "આકાશ" કરતાં પણ "સૂક્ષ્મ" છે.અને અત્યંત શુદ્ધ છે. અને,જેવી રીતની "કલ્પના" ઉઠે છે, તેવી રીતે તે તુરંત ભાસે છે. માટે બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે-તે સઘળા,"બ્રહ્મ" થી ભિન્ન જ નથી.
(૨૭) લીલા ને જ્ઞાન થી પોતાના પર્વ જન્મો નું સ્મરણ થયું
વશિષ્ઠ કહે છે કે પછી,એ બે સ્ત્રીઓ તે પહાડી ગામની અંદર-તે જ ઘરનાં મંડપ માં ના "આકાશમાં" જ્યેષ્ઠશર્મા વગેરે ની નજીક રહેલી છતાં,તેની અને બીજા લોકો ની દૃષ્ટિ થી અદૃશ્ય થઇ ગઈ.
જેમ,સ્વપ્ન અને સંકલ્પમાં પૃથ્વી-વગેરે ભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે ના હોવા છતાં પણ, પરસ્પર વાતચીત થાય છે, તેમ,સંકલ્પ-મય શરીર ધરાવતી એ બંને સ્ત્રીઓ (સરસ્વતી અને લીલા)ને, પંચમહાભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે (શરીર) ના હોવા છતાં પણ નીચે મુજબ ની વાતચીત થઇ.