________________
નાણંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન
૩૧૫ બાર ભેદોનું કથન છે. તે મુજબ બાહ્ય તપ છ – (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ, (૬) સંલીનતા છે અને અત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) ઉત્સર્ગ એ છ છે. એ રીતે કુલ બાર ભેદે તપાચાર છે. જેનું વિસ્તૃત વિવરણ ‘વિવેચન' વિભાગમાં કરેલું છે.
“પાક્ષિક અતિચાર"માં જણાવ્યા મુજબ તપાચારના અતિચારોનું નિરૂપણ કંઈક આ રીતે કરી શકાય –
(૧) અનશન તપના અતિચાર - જેમકે ઉપવાસાદિ તપ પર્વતિથિએ શક્તિ હોવા છતાં પણ ન કરે.
(૨) ઉણોદરી તપના અતિચાર - જેમકે - કોળીયા પાંચ સાત ઓછું ભોજન કર્યું નહીં અર્થાત્ ભુખ કરતા ઓછું ભોજન ન કર્યું.
(૩) વૃત્તિસંક્ષેપ તપના અતિચાર - જેમકે - દ્રવ્ય આદિ સર્વ વસ્તુનો સંક્ષેપ ન કીધો.
(૪) રસત્યાગ તપના અતિસાર - જેમકે વિગઈનો કે સ્નિગ્ધ રસની લોલુપતાનો ત્યાગ ન કરે.
1 (૫) કાયકલેશ તપના અતિચાર - જેમકે લોચ (વાળ ખેંચીને કાઢવા) આદિ કષ્ટ સહન ન કરે.
(૬) સંલીનતા તપના અતિચાર - અંગ ઉપાંગ સંકોચી ન રાખે.
૦ આ સિવાય પણ બાહ્ય તપના વિષયમાં કેટલાંક અતિચારોની નોંધ “પાક્ષિક અતિચાર"માં થયેલી છે. જેમકે–
– પચ્ચક્ખાણ ભાંગે. - એકાસણાદિ કરતી વેળા પાટલો હલતો હોય તો તેને સ્થિર ન કરે.
– ગંઠસી-મુઠસી આદિ પચ્ચક્ખાણ લઈને પછી આહાર-પાણી લેતી વખતે ગાંઠ છોડવાનું ભૂલી જાય કે મુઠી વાળી પચ્ચક્ખાણ ન પારે.
– ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું, બીયાસણું ઇત્યાદિ તપ કર્યો હોવા છતાં કાચું પાણી પીએ, તપમાં ઉલટી-વમન થાય.
(૭) પ્રાયશ્ચિત્ત તપના અતિચાર - જેમકે - શુદ્ધ મનથી ગુરુ પાસે પોતાના દોષની આલોચના ન કરે, આલોચનાદિ કર્યા પછી ગુરુએ જે પ્રાયશ્ચિત્તરૂપ તપ કરવા કહ્યું હોય, તે તપ કરે નહીં
(૮) વિનય તપના અતિસાર - જેમકે - દેવ, ગુરુ, સંઘ, સાધર્મિક આદિ પ્રત્યે ઉચિત વિનય ન દાખવે.
(૯) વૈયાવચ્ચ તપના અતિચાર - જેમકે - બાળ, વૃદ્ધ, રોગી, તપસ્વી ઇત્યાદિ દશની વૈયાવચ્ચ-ભક્તિ-સેવા ન કરે.
(૧૦) સ્વાધ્યાય તપના અતિચાર - જેમકે - વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારે જે સ્વાધ્યાયના ભેદ કહ્યા છે તે સ્વાધ્યાય ન કરે.