________________
॥ અથ ત્રિશત્તમ ધ્યાનાષ્ટમ્ ॥
अथ ध्यानाष्टकं विस्तार्यते । ध्यानलक्षणं निर्युक्तौ
अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाण गवत्थुम । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ ३ ॥ ( ध्यानशतक गाथा - ३ ) नामादिकं स्वतो वाच्यम् । तत्र ध्यानस्वरूपं निरूपयन्नाह
-
-
હવે ધ્યાનાષ્ટક નામનું ત્રીસમું અષ્ટક શરૂ કરાય છે. ધ્યાનનું લક્ષણ આવશ્યકનિર્યુક્તિમાં તથા ધ્યાનશતકની ત્રીજી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે.
“કોઈપણ એકવસ્તુના વિચારમાં માત્ર અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોના ધ્યાનને અનુલક્ષીને છે. કેવલી ભગવંતોમાં યોગનો નિરોધ કરવો તેનું નામ ધ્યાન છે.”
ધ્યાનનો અર્થ છદ્મસ્થ જીવોને આશ્રયી અને કેવલજ્ઞાની પરમાત્માને આશ્રયી ભિન્ન ભિન્ન છે. છદ્મસ્થ જીવો દ્રવ્યમન અને ભાવમનવાળા છે. મનોવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરી મનપણે પરિણમાવી અને છોડવાં તે દ્રવ્યમન અને કોઈ પણ વસ્તુનું વધારે વધારે ઊંડું જ્ઞાન મેળવવા જે ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવું તે ભાવમન.
દ્રવ્યમન નામકર્મના ઉદયથી હોય છે અને તે મન:પર્યાપ્તિ નામકર્મનો ઉદય છે. માટે ઔદિયક ભાવ છે. અઘાતી કર્મનો ઉદય છે તેથી છદ્મસ્થ અને કેવલીભગવંત એમ બન્નેને આ દ્રવ્યમન હોય છે. છદ્મસ્થ જીવોમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ દ્રવ્યમન હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને દ્રવ્યમન હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીથી દ્રવ્યમન હોય છે. કેવલી ભગવંતોને ત્રૈવેયક અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે તથા દૂર દૂર દેશમાં રહેલા મનઃપર્યવ જ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે જ આ દ્રવ્યમન હોય છે. (નામકર્મના ઉદયજન્ય દ્રવ્યમન છે.)
મતિ-શ્રુત જ્ઞાનાવરણીયકર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ તથા વીર્યાન્તરાય કર્મ, આ ચાર કર્મોના ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સ્વરૂપને ઊંડું ઊંડું જાણવા માટેની જે વિચારણા -શક્તિ, ચિંતન કરવાની અને મનન કરવાની જે શક્તિ તે ભાવમન કહેવાય છે. આ શક્તિ ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમભાવની છે. તે ભાવમન કેવલી ભગવાન વિના સર્વે પણ સંસારી