________________
૫૦૮
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
કામણ ટુમણની વિદ્યા આવડતી હતી. બીજી સ્ત્રીને આવી કલા આવડતી ન હતી. એક વખત કલાની જાણકાર સ્ત્રી કલાની અજાણ સ્ત્રીના ઘરે મળવા માટે આવી ત્યારે કલાની અજાણ સ્ત્રીએ કહ્યું કે “તું કામણ ટુમણની કલા જાણે છે તો કંઈક એવું કર કે જેથી મારો પતિ હું ચલાવું તેમ ચાલે, બીજીએ કહ્યું કે સારું, હું તને એક ઔષધ આપું છું, તે ઔષધ તું તારા પતિને ખવરાવજે, જેથી તારો પતિ તું કહીશ તેમ કરશે અને ચલાવીશ તેમ ચાલશે.”
આટલું કહીને ઔષધ આપીને કલાની જાણકાર તે સ્ત્રી પોતાના ઘરે ગઈ, થોડાક દિવસો બાદ ઔષધવાળી સ્ત્રીએ પોતાના પતિને ઔષધ ખવડાવ્યું. આ ઔષધ પેટમાં જતાં જ આ પુરુષ પુરુષ મટીને બળદ થયો. ઔષધ ખવડાવનાર સ્ત્રીના દુઃખનો પાર ન રહ્યો. પરંતુ હવે શું થાય ? બળદમાંથી પાછો પુરુષ કેમ કરવો તે કલા તેની પાસે નથી અને પેલી સ્ત્રી તો તેના ઘરે ચાલી ગઈ છે. એટલે આ સ્ત્રી પોતાના પતિ બળદને દરરોજ ઘાસચારો ચરાવવા જંગલમાં લઈ જાય છે અને ચરાવીને સાંજે ઘરે પાછી આવે છે. તે જેમ ચલાવે તેમ બળદ ચાલે છે. આમ તેના ઈચ્છા પ્રમાણે કાર્ય તો થયું પણ તેને આ રૂચ્યું નહીં. હવે બળદમાંથી ફરી પાછો પુરુષ કેમ થાય તેની રાહ જોતી દરરોજ ચરાવે છે.
એક વખત તે સ્ત્રી પોતાના પતિ-બળદને ઘાસચારો ચરાવીને એક મોટા વૃક્ષની નીચે સૂતી છે. બળદ ઘાસચારો વાગોળે છે. સ્ત્રી સૂઈ ગઈ નથી, પરંતુ પરિશ્રમના કારણે આડી પડીને આરામ કરે છે. ત્યાં કોઈ એક વિદ્યાધર યુગલ (પતિ-પત્ની) જાત્રા અર્થે નીકળેલું તે યુગલ વિરામ માટે આવીને આ જ વૃક્ષ ઉપર બેઠું. તેમાંના પુરુષે વિદ્યાધર હોવાથી વિદ્યાના બળે જાણ્યું કે નીચે બેઠેલો બળદ વાસ્તવિક બળદ નથી, પણ કૃત્રિમ બળદ છે. જો તેને આ જ ખેતરમાં રહેલી સંજીવની ઔષધિ ખવડાવવામાં આવે તો તે બળદ ફરીથી પુરુષ થઈ શકે છે. આમ આ સમસ્ત વાર્તા તે વિદ્યાધર પુરુષે પોતાની પત્નીને કહી. આ બન્ને વાર્તાલાપ કરીને ઉડી ગયાં. પરંતુ તે વાર્તાલાપ નીચે સુતેલી તે સ્ત્રીએ સાંભળ્યો.
તે સ્ત્રી મનમાં વિચારે છે કે આ બળદને પુનઃ પુરુષ કરવાનો ઉપાય છે અને તે એ છે કે આ બળદને સંજીવની ઔષધિનો ચારો ચરાવવો અને તે ઔષિધ આ જ ખેતરમાં છે, પરંતુ મને ખબર પડતી નથી કે સંજીવની ઔષધિ કઈ ? અને ઈતર ઘાસચારો કયો ? તો હવે હું શું કરું ? આવા પ્રકારના વિચારમાંથી તેણે એક નિર્ણય કર્યો કે આ ખેતરમાં જે કોઈ ઘાસચારો છે તે તમામ ઘાસચારો ક્રમે ક્રમે હું આ બળદને ચરાવું કે જેથી સંજીવની ઔષધિ જ્યારે તેના ઉદરમાં જશે ત્યારે તે મનુષ્ય બની જશે. આવો નિર્ણય કરીને ખેતરના એક છેડેથી દરોજ આ બળદને ધ્યાન રાખીને ઘાસચારાનો ચારો ચરાવે છે. આમ કરતાં કેટલાક દિવસે તે સંજીવની ઔષિધ તેના ચરવામાં આવી. તે જ દિવસે તે બળદ બળદ મટીને