________________
૨૮૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
- તિવિહાર પચ્ચકખાણ કરવા અસમર્થ છતાં તે તરફ આગળ વધવાની પૂર્ણ ભાવના ધરાવનાર મહાનુભાવ કોઈક અસાધ્ય રોગના કારણે ઔષધ લીધા વગર, રાત્રે સમાધિ ટકે તેમ ન હોય અને ગુરુભગવંત પાસે તે અંગેની નિર્બળતા અને અસમાધિ થવાના કારણોનું નિવેદન કરીને સંમતિ લીધેલ હોય તેવા રાત્રિભોજનત્યાગની ભાવનાવાળા આરાધકને સૂર્યાસ્ત પહેલાં દુવિહારનું પચ્ચકખાણ અપાય છે. તેમાં શક્ય હોય ત્યાં સુધી કાંઈપણ લેવાનું ટાળવા પ્રયત્ન કરે, છતાં લેવું જ પડે તેવા સંજોગો ઉપસ્થિત થાય તો સૂર્યાસ્ત પછી સ્વાદિમ (ઔષધાદિ) અને પાણી લઈ શકે.
સૂર્યાસ્ત પછી જમનારને ચઉવિહાર-તિવિહાર-દુવિહારનું પચ્ચખાણ ન જ કરાય. તેઓ ગુરૂભગવંત પાસે જાણકારી મેળવી ધારણા અભિગ્રહ પચ્ચકખાણ” (જમ્યા પછી કાંઈપણ નહીં ખાવાનો અભિગ્રહ) લઈ શકે. તેઓને રાત્રિભોજનનો દોષ લાગે જ, તેમાં કોઈ શંકા ન કરવી, પરંતુ થોડોક વિરતિનો લાભ પણ મળે છે. - પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષા ગ્રહણ કરે ત્યાંથી, જીવે ત્યાં સુધી ગમે તેવા શારીરિક-માનસિક આદિ સંજોગો ઉપસ્થિત થાય તો પણ ક્યારેય ચારેય પ્રકારનો આહાર ન જ કરે. જીવન પર્યંત રાત્રિભોજનત્યાગનું છઠું વ્રત પાળે.
પૂ.ગુરુભગવંત પચ્ચકખાણ આપે ત્યારે એક કે બે વાર ખાવાની છૂટ આદિનાં પચ્ચખાણ ન આપે, પણ એકાસણા પચ્ચકખાણમાં એક ટાઈમ સિવાય અન્ય સમયના ભોજનનો ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણ આપે. તે મુજબ સઘળાંય પચ્ચખાણમાં સમજવું.
નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર કોઈક સંજોગે “પોરિસી” કે સાઢપોરિસિ” સુધી કાંઈ પણ ખાધા-પીધા વગર રહે અને આગળનું પચ્ચક્ખાણ ન કરે તો તેને ફક્ત નવકારશીનો જ લાભ મળે. કદાચ સમય વધારે થઈ જતાં ખ્યાલ આવે અને આગળનું પચ્ચક્ખાણ કરે તો તે પચ્ચખાણનો લાભ મળે. પણ પરિસિ સુધીનાં પચ્ચકખાણ તો સૂર્યોદય પૂર્વે જ, તે તે પચ્ચકખાણ આવ્યા પહેલા, કરવા જોઈએ.