________________
સામ્યશતક
પ૭
બ્લોક-પ૭
विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् ।।
नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ।। અર્થ - વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઇન્દ્રિયોના સમૂહને, સમતાની મોટી મુદ્રા પ્રાપ્ત કરી વશ કરવો જોઈએ. ભાવાર્થ – ઇન્દ્રિયવિષયોમાં લંપટ જીવને સ્વભાવ-વિભાવનો, ધર્મ-અધર્મનો, સત્ય-અસત્યનો, સાર-અસારનો વિવેક હોતો નથી. આવો વિવેકહીન જીવ માન-મર્યાદાની, લાજ-શરમની પરવા કર્યા વિના યથેચ્છ વિહરી, મન ફાવે તેમ ભોગ ભોગવે છે અને રાગ-દ્વેષ-મોહ વડે આત્માને પીડે છે. જીવ જો ઇન્દ્રિયરૂપી અશ્વોને વશ કરે તો તે શાંતિ, પ્રસન્નતા, સંતોષ અનુભવે છે. આ ઇન્દ્રિયરૂપી બળવાન અશ્વોને વશ કરવા માટે સમતાભાવનું સેવન, તેમાં નિરંતર રમણતા એ અદ્વિતીય અને અચૂક ઉપાય છે. સમતારસથી ભાવિત થયેલા ચિત્તના કારણે ઇન્દ્રિયોની ચંચળતા ઘટે છે અને રાગ-દ્વેષ મંદ થાય છે. તેથી ઇન્દ્રિયસમૂહનો પરાજય કરવા જીવે અતિ પ્રભાવશાળી એવી સમતાની મુદ્રા ધારણ કરવી જોઈએ.