________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તે સમયે ધૂપસા૨ ઉપ૨ સ્નેહથી સુગંધી જલ અને ફૂલ વરસાવ્યાં, તેથી ‘ધૂપસાર’ કુમારના દેહમાંથી અતિ ઘણી અમૂલ્ય સુગંધ પ્રસરવા લાગી. (૨૨)
તે સુગંધ પૃથ્વીતલથી આકાશ સુધી દશે દિશામાં ફેલાવા લાગી, તે જોઈને પુરજન મનને વિષે ઉલ્લાસ પામ્યા છતાં સહુ પસારની નજીક આવવા લાગ્યાં. (૨૩)
આ પ્રમાણેનું આશ્ચર્ય જોઈને પૃથ્વીપતિ આશ્ચર્ય પામ્યાં અને અભિમાન છોડીને ‘ધૂપસાર’ને મસ્તક નમાવી અને કરજોડીને કહેવા લાગ્યાં કે (૨૪)
હે કુમાર ! તું ગુણવંત અને ગંભીર છે અને અમે ગુણહીન છીએ. તેથી હે ધૈર્યવાન્ ! મારા આ અપરાધની મને ક્ષમા આપશો ! હું તમને ખમાવું છું. (૨૫)
ત્યારે ‘ધૂપસાર’ કુમાર પણ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! સાંભળો ! આમાં આપનો કશો જ અપરાધ નથી. આ તો શુભાશુભ કર્મના વિપાક ટાળ્યા કેમે કરીને ટળતાં નથી. તે કર્મવિપાક ભોગવે જ છુટકો થાય છે. (૨૬)
પૂર્વકૃત કર્મ પ્રસંગ પ્રાપ્ત થયે ભોગવવાં જ પડે છે. કોઈ તેનાં ફંદામાંથી છૂટી શકતું નથી. પૂર્વે જેવા કર્મ બાંધ્યા હોય તેવા કર્મનાં ફલ આ ભવે કે બીજા ભવે કે કોઈ ને કોઈ ભવે ભોગવવાં જ પડે છે. એમ ઉદયરત્નજી મહારાજ રંગ સાથે પચ્ચીસમી ઢાળમાં કહી રહ્યાં છે. (૨૭)
૧૪૬