________________
સુરસુંદરીનો જન્મ
પ્રબળ પુણ્યશાળીને ધર્મ, અર્થ, કામ ત્રણે ફળે છે. રાજા-રાણીને આ ત્રણ પુરુષાર્થથી મળ્યા હતા અને મોક્ષ મેળવવાની ભાવના પ્રબળ હતી. ઉભયની પ્રીતિ નખ અને માંસ જેવી, જળ અને મત્સ્ય જેવી તેમજ દુધ અને પાણી જેવી હતી. ક્યારેય મતભેદ પડ્યો નથી. પ્રીતિ એકમેક અને અપૂર્વ હતી. દુધ અને પાણી એક થાય એટલે પરસ્પર પ્રીતિ થતાં બંને એકરુપ થઇ ગયા. દુધે તમામ ગુણ પાણીને આપી દીધા. બંનેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એકરુપ થઇ ગયા. પછી તેના માલિકે કાર્યવસાત્ તેને અગ્નિ ઉપર મૂક્યું. એટલે પાણી દુધનો ઉપકાર સંભાળીને પહેલું બળવા માંડ્યું. પ્રીતિના કારણે પાણીના કષ્ટની આ સ્થિતિ દુધથી સહન થઇ નહિ. પાણી બળી જતાં તે ઉભરાવવા લાગ્યું અને અગ્નિમાં પડવા ઉછળ્યું. માલિકે જાણ્યું કે આ બધું ઉભરાઇ જશે. એટલે તેમાં પાણી છાંટ્યું. અર્થાત્ તેના મિત્રનો સયોગ કરાવ્યો. તરતુ દુધ શાંત થયું. જો પ્રીતિ હોય તો આવી હોવી જોઇએ.
રાજા રાણીના સંસાર ઉદ્યાનમાં બે પુત્ર રુપે ફૂલ ખીલ્યા. રાજવૈભવોમાં ઉછળતા બંને રાજકુમારો મોટા થવા લાગ્યા. વળી રાણીએ શુભ દિવસે ગર્ભને ધારણ કર્યો. ત્રણ માસ થતાં રાણીને જુદા જુદા પ્રકારના શુભ દોહદો ઉત્પન્ન થવા લાગ્યા. દોહદની વાત રતિસુંદરી પોતાના સ્વામીને કહે છે, હે સ્વામી! ભાવિમાં આવનાર આપણું સંતાન મહા પુણ્યશાળી છે. જેના પુણ્યથકી મને સારા દોહદ થાય છે. ગર્ભના પ્રભાવે ધર્મક્ષેત્રમાં ધન વાપરવાની ઇચ્છા થાય છે. જીવદયા પાળું, તીર્થયાત્રા કરું, ગુરુભગવંતના સુપાત્રે દાન આપું. હાથીની અંબાડી ઉપર બેસીને વનવિહાર કરી વનમાં જઇને સ્નેહને આનંદથી ક્રીડાને કરું. રિપુમર્દન નરેશ આ સારા પ્રકારના દોહદને જાણીને રાણીની બધીજ ઇચ્છા પુરી કરે છે. જેમ જેમ દોહદ થાય છે તેમ તેમ રાજા પુર્ણ કરે છે. વનવિહારમાં રાજા સાથે જાય છે અને વનક્રીડા કરે છે. દોહદો પૂર્ણ થવાથી આનંદમાં રહેતી ધર્મની આરાધના કરતી રાણી સુખપૂર્વક ગર્ભને વહન કરે છે.
જે સ્ત્રીની કુક્ષીમાં અધમ જીવ આવે તો તે સ્ત્રીને છાશ-દહીં ખાવાનું મન થાય. ઠંડી થઇ ગયેલી રસોઈ ખાય. વળી રસોડામાં રસોઇ કરેલી હોય અથવા પોતે બનાવતી હોય તો છાની છાની રસોઇને ચાટી જવાનું મન થાય. અર્થાત્ ચોરી કરીને ખાવાનું મન થાય. વળી ઘરના છાપરે રહેલા માટી નળિયા, કોલસા, ઇંટ, મટોડું વગેરે પણ ખાય છે. પાપીઓની સંગતિ કરે. આ સંગતિથી પાપાચરણ પણ કરી નાંખે છે.
અધમ ગર્ભના પ્રભાવે મન કલુષિત રહે છે. વારંવાર ગુસ્સો કરે છે. અસત્ય પણ બોલી દે છે. ધર્મની કોઇપણ પ્રવૃત્તિ કરવાનું મન થાય નહિ. ધરના ઓટલે અથવા પાડોશીના ઓટલે બેસીને વિકથા-કુથળી પરિનંદા કરે. એમાં જ રસ વધારે પડે છે. તો વળી તેમાં દેવ-ગુરુ તો ક્યાંથી યાદ આવે? કલહપ્રિય પણ વધારે હોય છે. ઘરના પરિવાર સાથે ઝધડા કરે બીજા લોકો સ થે પ્રીત કરવા જાય. પણ પછી પ્રીતિ ટકતી નથી. આ રીતે અધમ જીવનું પોષણ કરે છે. જ્યારે રતિસુંદરી પટ્ટરાણી અનિષ્ટ દોહદને ધારણ કરતી નથી. ધર્મમાં વધારે રત રહેતી રાણી સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. પૂર્ણ માસ થતાં રતિસુંદરી રાણીએ જેની ઉપમા ન આપી શકાય એવી અનુપમ પુત્રી રત્નનો જન્મ આપ્યો.
પુત્રીરત્નની વધ મણિ મળતાં રાજા આનંદ પામ્યો. બે રાજકુમાર પછી આ રાજકુંવરીનો જન્મ, વળી પુણ્યશાળી પણ ઘણી છે. પુત્રીજન્મનો મહોત્સવ કર્યો. બારમે દિવસે જ્ઞાનીજનો તેડ્યા. સ્વજન સંબંધીઓને રાજ દરબારે બોલાવ્યા. પુત્રીના નામકરણ અર્થે બોલાવી પ્રીતિ ભોજન કરાવ્યા. રાજકુંવરીના રુપ સ્વર્ગની દેવી કરતાં ચડી જાય તેવું હોવાને કા૨ણે રાજાએ ‘સુરસુંદરી’ નામ રાખ્યું.
આ પ્રમાણે સુરસુંદરીના રાસની આ બીજી ઢાળ કહી. પંડિત વીરવિજયજી મહારાજ કહે છે. હે શ્રોતાજનો ઉત્સુક થઇને આનંદપૂર્વક ચરિત્રને સાંભળવા ઉજમાળ બનો.
પ્રથમ ખંડે બીજી ઢાળ સમાપ્ત
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ