________________
રાજ્ય અરધ ગુણપાલને, નિજ થયું સતી સુપ્રત; વિમલજસ ગુણપાલની, આણ સદા વરતંત. ૯ હવે સસરાને પૂછીને, કરતા કુંવર પ્રયાણ;
ઋદ્ધિ દાણી સાથે લહી, ગાજં તે નિસાણ. ૧૦ કે તે દિવસે આવીયા, અધિકાનંદ અપાર; કંતા ઉભયે પરિવર્યા ચંપાનગરી બાર. ૧૧ વધામણી ગઇ તતખિણે, આવ્યા અમરકુમાર;
ભૂપ ધનાવહ હરખિયા, હરખ્યા સહુ પરિવાર. ૧૨ ભાવાર્થ :
વસમી વિદાય અમરકુમાર-સુરસુંદરી-ગુણમંજરી વતનની વાટે જવા તૈયાર થઇ ગયા છે. દીકરી જ્યારથી જન્મી ત્યારથી પરાઇ છે. સમજીને પારકા હાથમાં સોંપેલી દીકરી હવે પોતાને ઘેર, પિયરમાં મા-બાપ પાસે ન રહેવાય. સમજુ મ તાપિતા પિયરમાં રાખે નહિ. રાજારાણી પોતાની લાડકવાયી દીકરીને સાસરે મોકલવાની તૈયારી કરી રહ્યાં છે.
વાતાવરણ ખૂબ ગમગીન બની ગયું. અમર અને સુરસુંદરીના જવાથી બેનાપુરના નગરવાસીઓને પણ ઘણું દુ:ખ થયું. સહુએ આંસુભર્યા નયને વિદાય આપી રહ્યા છે. મા તો હિબકા ભરી રોઇ રહી છે.
વ્યવહારમાં પણ કહેવાય છે કે વહુ પિયરમાં, પુરુષ સાસરીમાં રહે તેમજ સંતસંયમીનો અતિશય સહેવાસમાં સ્થિરવાસ કરે તો અળખામણાં થાય છે.
ગુણપાલ રાજા સુરસુંદરીને કહે છે- હે દીકરી! તારો વિયોગ અમને સહન નહિ થાય. વિમલના સ્વાંગમાં મારું તથા નગરવાસીઓનું દિલ જીતી લીધું છે. રાજય ઉપર આવેલી આપત્તિને તે દુર કરી.નગરજનો તારા પસાયે સુખી થયા. તારો ઉપકાર શું ભૂલાય!
મલયાચલ પર્વત ઉપર ચંદનના વૃક્ષોની આસપાસ લીંબ-લીમડા આદિ ઘણાં વૃક્ષો વીંટળાઇ ને રહેલા છે. ચંદનસજજનની સંગે કડવો લીમડો પણ સજજનતા પામે છે. ઉત્તમની સંગતે દુર્જન પણ સજ્જન બને છે. તે સતી! ઉત્તમ જીવોની સાથે ગોઠડી, ઉત્તમનો સંયોગ, આ બધું પૂર્વના પુણ્ય વિના મળતું નથી. જો આ પ્રાપ્તિ ન થાય તો તે માટે શોક કરવાથી શું? પુણ્ય ન હોય તો આવી સામગ્રી પ્રાપ્ત થતી નથી
પક્ષીઓમાં હંસ ઉત્તમ છે. સરોવરમાં હોય ત્યારે સરોવરની શોભા અધિકતર બની જાય છે. સરોવરમાં ચાલતો હંસ પણ પરખાઇ જાય છે. વહેતી નદી પણ નિર્મળ અને પવિત્ર છે. સોનાની પરખ કસોટી કર્યા પછી થાય છે. તે જ રીતે ઉત્તમજનો વાત કરતાં પરખાઇ જાય છે.
રે દીકરીઓ! હૃદયમાં તમારા સૈના વિરહ દાવાનલ સળગી રહયો છે. આ દાવાનલનો ધૂમાડો બહાર દેખાય નહિ. તમારી સૌની સાથે સ્નેહની ગાંઠ બાંધતા એવી બંધાઇ ગઇ છે તે કેમે કરીને છૂટી જાય તેમ નથી. હે અમરકુમાર! વળી કયારેક આ તરફ જરુર આવવાનું રાખજો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)