________________
માસી મ.સા. તમારી વળી શી વાત કરવી? નયાવિ મુકખો ગુરૂ હિલણાએ”
ગુરૂ હિલનામાં કદીયે મોક્ષ નથી” આગમનું આ સૂત્ર આપે આપના જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધું હતું. ક્યારેય પણ ગુરૂના દિલને દુભાવ્યું નથી. સાંભળ્યું છે કે પરમ ઉપકારી ગુરૂજનોને આપણા હૈયામાં વસાવવા સહેલ છે પણ... પણ “ગુરૂ હૈયામાં વસવું” અતિ દુષ્કર છે. પૂ. માસી મ.સા. આપનો ગુરૂ સમર્પિત ભાવ અનેરો હતો. અદ્ભુત સમર્પિતતા એ ગુરૂ હૈયે વસી ચૂક્યા હતા. ૨૫ વર્ષના સંયમ કાળ દરમ્યાન ગુરૂને જીતી લીધા હતા. સમુદાયના સાધ્વીગણનો પ્રેમ પણ એટલો સંપાદન કર્યો હતા.
અમે જ્યારે જ્યારે આપની પાસે આવ્યા છીએ ત્યારે ત્યારે આપના મુખડા ઉપર હાસ્ય રેલાતું જોયું છે. ઉદાસીનતા ક્યારેય જોઈ નથી. જ્ઞાન ધ્યાનમાં પણ એટલાજ આગળ હતા. સજઝાયો સ્તવનોનો ક્યારેય તોટો પડ્યો નથી. પર્વતિથિએ તો તેમની પૂર્ણ તૈયારી જ હોય. ધ્યાનમાં પણ એવા જ ઓતપ્રોત હતા. પ્રાયઃ રાત્રિના ૧૧ વાગ્યા પહેલાં સંથારો કર્યો હોય તેવું મે જોયું નથી અને સાંભળ્યું પણ નથી.
આવા અનેક ગુણોથી એમનું જીવન મહેંકતુ હતું. અમે સૌ તેમની પાસે જતાં ત્યારે અમારી સંસારની સળગતી સમસ્યાઓમાં પુષ્કરાવર્તના મેઘની જેમ કામ કર્યું છે. અપૂર્વ શાંતિ-સમતાથી અમારી આગને બુઝવતા અને પરમાત્માના માર્ગે વધુ જોડતા. નિખાલસતા ગંભીરતા-ઉદારતા-સહિષ્ણુતા આદિ ગુણોથી શોભતા પૂ.માસી મ.સા. વ્યવહારદક્ષ પણ એટલા જ હતા. ક્યારેય ઉચિત વ્યવહારને ચૂક્યા નથી.
આંણા એ જ ધર્મ કઈ વાર આ સૂત્ર તેમના મુખેથી અમે સાંભળ્યું છે. આ સૂત્રને આત્મસાત્ બરાબર કર્યું હતું. ગુરૂ શિષ્યાની અમર જોડી સમુદાયમાં અપૂર્વ શોભતી હતી. જ્યાં જાય ત્યાં સાથે જ જાય. ચાહે દર્શનાર્થે જવાનું હોય ચાહે વંદનાર્થે જવાનું હોય.
“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે” મર્યાદા પુરૂષ શ્રીમદ્ રામચંદ્રજી જે સુપ્રભાતે ગાદીએ બેસવાના હતા. તે જ પ્રભાતે વનવાસ લીધો. આવતી કાલ કેવી ઉગશે? કોઈને ખબર નથી. પૂર્વના પ્રબળ પાપના ઉદયે વિહાર કરતા ગુરૂ શિષ્યાની જોડીને કાળરાજાને ન ગમ્યું. અકસ્માતના ભોગ બન્યા. ગુરૂશિષ્યાની જોડી કાળના પંજરમાં સપડાઈ ગઇ. પરલોકની વાટે ચાલી નીકળ્યા. જેનો હાથ પકડ્યો હતો, તેનો સાથ લઇને પરલોકના પ્રવાસી બની ચૂક્યા.
હંમેશાં સાથે જ રહેતી ગુરૂશિષ્યાની જોડી અંતઘડી સુધી સાથે રહી, સાથે જ ચિર વિદાય લીધી.
૧૮