________________
પૂજ્યશ્રી અભ્યાસમાં ઓતપ્રોત થઇ ગયા. તીક્ષ્ણ પ્રજ્ઞાશીલ પૂજ્યશ્રી જ્ઞાનના ઘૂંટડાનું પાન કરવા લાગ્યા. ૧૧ વર્ષની કુમળી વયે જ્ઞાનને આત્મસાત્ કરવા લાગ્યા. વિનય, વિવેક હતો તેમાં વધારો થયો. સમુદાયમાં સૌને પ્રિય થઇ પડ્યા.
અભ્યાસની નેમ અને આત્માનો પ્રેમ
વડીલોની છત્રછાયાએ, અસીમકૃપાએ સાધુતાને પચાવવા સાધુ આચાર સાધુક્રિયાના સૂત્રો ટૂંક સમયમાં કંઠસ્થ કરી લીધા. દશવૈકાલિક આદિ ગ્રંથોનું પણ પઠન થઈ ગયુ. જ્ઞાનના તીવ્ર ક્ષયોપશમે કર્મગ્રંથ, પંચસંગ્રહ કમ્મપયડી આદિ કઠિન ગ્રંથો અર્થસહિત કર્યા. ત્યારબાદ લઘુવૃત્તિ તર્કસંગ્રહ, મુક્તાવલિ આદિ વિષયોનો ગહન અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીનો લગભગ બધો જ અભ્યાસ પંડિતવર્ય (મોટા) ધીરૂભાઈ પાસે થયો હતો. અભ્યાસની સાથે સાથે સ્વાધ્યાયને ક્યારેય ચૂક્યા નથી. હંમેશા વહેલી સવારે શ્રી દશવૈકાલિકનો સ્વાધ્યાય કર્યા બાદ પ્રતિક્રમણ કરતા. અપ્રમત્તભાવે ક્રિયાઓ કરતા. સ્તોત્ર-પાઠ-જાપ-પણ નિયમિત કરતા. આરાધના ક્ષેત્રમાં ત્રિપુટી કદમ કદમ મિલાવીને આગળ વધવા લાગી. ભગીરથ પુરૂષાર્થ હોય ત્યાં કઠિન શું લાગે?
પૂજ્યશ્રીના હૈયામાં અજબ ગજબની હામ હતી. સતત જ્ઞાનાભ્યાસે પાપભીરુતા દિલમાં વસી હતી. દરેક પ્રવૃત્તિ જયણાયુક્ત હતી. જ્ઞાનમાં મોખરે હતા અને હૃદય નિઃસ્પૃહને નિર્દોષ હતું. ભાલ ઉપર ભવ્યતા તરવરતી હતી. મુખઉપર પ્રસન્નતા વાણીમાં મૃદુતા જોવા મળતી. ગુસ્સો તો ક્યારેય જોવા મળ્યો નથી. આવા સદ્ગુણોની સુવાસે અમ જેવા કંઈક પામર જીવોને સંયમના સ્વાંગ અપને ભવ સાગરથી તાર્યા છે. આચારનિષ્ઠા અપૂર્વ હતી, મેરુ સમ અડગ હતા.
પૂજ્યશ્રીના સાધનાના વર્ષો વીતવા લાગ્યા. જીવનમાં ભક્તિ-ગુણ અદ્વિતીય હતો. વિહારમાં સૌથી આગળ જ હોય, અને વડીલો આવતા સુધીમાં આહાર પાણીની તૈયારી થઈ ચૂકી હોય. ક્યારેય મુખ પર ગ્લાની જોઇ નથી.
ગુરૂમાતા તથા વડીલો પ્રત્યે સમર્પણ ભાવ અજોડ હતો. ગુરૂમાતાનું વચન એજ જીવનમંત્ર હતો. સંવત ૨૦૪૦ની સાલ સમેતશિખરની યાત્રા કરવા બંને બેનોને સાથે રવાના કર્યા. પાછળથી પોતે જીવલેણ દર્દમાં ઘેરાઈ ગયા. ઉભય ઉપકારી ગુરૂમાતાના સમાચાર મળતાં ૪૦-૪૦ કીલોમીટરના ઉગ્રવિહાર કરી, પૂજ્યશ્રી ઉપકારી ગુરૂમાતાની ભક્તિમાં હાજર થઈ ગયા. ગુરૂમાતાની છેલ્લા શ્વાસોશ્વાસ સુધી સમતા, સમાધિ ટકાવી રાખવા અખંડ આરાધના કરાવી, નિર્ધામણા કરાવી અને યત્કિંચિત અનૃણી બન્યા.
સંયમયાત્રીની અર્ધશતાબ્દિ - સંસારાવસ્થામાં ૧૧ વર્ષ વીતાવેલ પૂજ્યશ્રીએ માતા-બેનની સાથે સંયમ ગુપ્તપણે ધારણ કર્યો હતો કારણકે સંસારી મામાઓનો સખત વિરોધ હતો પણ દીક્ષાની પળ-ઘડી, અને દિવસ, મંગળ સ્વરૂપે શ્રેષ્ઠ હશે. જે અત્યાર સુધીમાં ૫૦વર્ષના મહેંકતા સંયમજીવનને શોભાવ્યું હતું. સંસારી સગા તેમજ ભક્તજનો તરફથી સંયમજીવનના ૫૦ વર્ષ રૂપ અર્ધ શતાબ્દીની અનુમોદનાર્થે, પરમાત્માનો મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયો. વૈશાખ સુદ ૧૦-દીક્ષાદીન તો અપૂર્વ રીતે ઉજવ્યો. જાણે આજે જ દીક્ષા ગ્રહણ ન કરી હોય...
૧૧