________________
સુરસુંદરીના કોમળ ચરણકમળો આવા ખાડા-ટેકરા-કાંટાવાળા રસ્તે આવીને ઘસાઇ ગયા હતા. તેમાંથી રુધિર વહ્યા કરતું હતું. આખે તે આખમાંથી એક સરખી અશ્રુધારા ચાલી જતી હતી. ખૂબ જ થાકી ગઇ હતી. અહીં પણ કોઇ બેસવાનું કહે તો બિચારી જમીન ઉપર બેસે! તે તો એક બાજુએ ઉભી ઉભી નવકારને ગણતી આ લોકોની વાતો સાંભળતી હતી. તેમાંથી એક જણો બોલ્યો - અલી બૈરી -- સાંભળ! આ અમારો સરદાર છે. તેની તું આજથી ઘરવાળી છો. અને અમારી સૌની રાણી છો. સતીના કર્મોએ હદ કરી નાખી. સતીને સૌ ભેગા થઇને સતાવવા લાગ્યા.
સુરસુંદરી આ વાત સાંભળીને ધ્રૂજી ઊઠી, ચોરને કહ્યું. ભગવાનનો તો ડર રાખો. હું ખૂબજ થાકી ગઇ છું. સરદાર અને તેના માણસો આ વાત સાંભળવા તૈયાર નહોતા. સરદાર તો સતીના રુપને જોઇ જોઇને પી રહ્યો હતો. અને હૈયામાં ખૂબ જ હરખાતો હતો. પોતાની ભાવિ સ્ત્રી બનશે. આ વિચારમાં ઘણો ખુશ હતો. સરદારે પણ સતીને છંછેડી. અલી! મારી ઘરવાળીહાલ! હવે હાલ મારા ઘરમાં, તારે તો બારે મેહ વરસ્યા છે. એમ કહી સતીની પાસે પહોંચ્યો સતીને પકડવા. સતી તરત આઘી ખસી ગઇ. તે વખતે સુરસુંદરીને થયું આ તો જીવતો યમદૂત છે. આ લોકોના હાથમાંથી છૂટવું મુશ્કેલ છે. પણ સાહસ તો કરવું પડશે. કાં તો આ સ્થળે મૃત્યુ થાય! કાં તો વિજય થાય. મનથી દેવગુરુને યાદ કરી લીધા. શાસન દેવતાને પ્રાર્થના કરી લીધી સામે આવતા સરદારને પડકાર કર્યો. ભાઇ! ત્યાં જ ઊભો રહેજે. મારા માટે કોઇ વિચાર કરીશ નહિ. સરદાર કહે :- તું અમારા હાથ નીચે છે. આજથી મારી ઘરવાળી તું છો. તે હાલ હવે મારા ઘરમાં. સતી કહે:- આ વાત કરીશ નહિ, સ્ત્રી તરીકે તો જરાયે નામ ન દઇશ. રખેને સૂર્ય પૂર્વ છોડી પશ્ચિમ દિશામાં ઊગે. સમદ્ર મર્યાદા કદાચ લોપે. બરફનો પર્વત હિમાલય તે કદાચ અગ્નિ બની જાય તો પણ સતી પોતાના શીયળવ્રતમાંથી ચલિત નહિ થાય. સતીની વાત સાંભળી, સરદાર તથા બીજા પણ બધા સાથીદારો ક્રોધે ભરાયા. કહ્યું છે કે દુર્જનને ઉપદેશ આપવો, સર્પને દુગ્ધ પાન કરાવવું નકામું છે. વિપરીત જ થાય. તેમ સતીના વચનોએ આ પલ્લીપતિ સરદારને વધારે ઉશ્કેયો.
બે હાથ અને બ પગ તેમજ પુરુષાકારે નપુસંકની જેમ દેખાય. તેમજ વાતે વાતે ગુસ્સાને લઇને કંપતો તેનો ક્યારેય વિશ્વાસ ન કરાય. પલ્લી પતિ લાલચોળ બની ગયો છે. સતીને કહેવા લાગ્યો, હે સોયના જેવા મુખવાળી! હે દુષ્ટ દેખાવવાળી! તારા મુખને સંભાળીને બોલ! પંડિતની સાથે શું વાદે ચઢી છે? પોતાનું ઘરનું રક્ષણ કરવાને શકિતમાન નથીને ઘર ભાંગવા તૈયાર થઇ છે ડાહ્યાનું વચન છે કે જેને ઉપદેશ ન અપાય. તેમાં વળી દુર્જનને વિશેષથી ન અપાય. જેમકે ડાહી એવી સુઘરી વાનરને ઉપદેશ આપવા જતાં વાનરને ગુસ્સો આવ્યો. ને સુઘરીને માળો પળવારમાં પીંખી નાખ્યો. સુઘરીનું દર ભાંગી નાંખ્યું. જયારે દુર્જન તો એના કરતાં વધારે નુકશાન કરનારા હોય છે.
સરદાર દુર્જનમાં દુર્જન હતાં. સુરસુંદરી સતીને પોતાના ઘરમાં લઇ જવા, ગુસ્સામાં તેનો હાથ પકડ્યો. રાક્ષસના પંજામાંથી એક ઝાટકે પોતાના હાથ સરદારના હાથમાંથી છોડાવતી સતી કહે – ખબરદાર! જો મારા શરીરને અડક્યો છે. તો... હવે સરદારે પોતાના કમરે લટકતી તલવારને હાથમાં લીધી, બબડવા લાગ્યો - આ બૈરી તો બહુ બહાદુર લાગે છે. એમ કહીને ફરીથી સુરસુંદરીનું કાંડું પકડ્યું. ભીલ સરદાર અને સુરસુંદરી વચ્ચે હવે રસાકસી જામી. બીજીવાર હાથ પકડતાં જે સતીનું જોર વધી ગયું. સુરસુંદરીએ ભીલના જડબા પર એક લપડાક મારી દીધી. સુરસુંદરી હવે પોતાના જીવન-મરણના નિર્ણય પર આવી ગઈ હતી. તેના મોં ઉપર ક્ષાત્રતેજના ઝગારા મારતા હતા. તમાચો પડતાં જ સરદાર દસ કદમ દૂર હટી ગયો. સુરે મક્કમતાથી ગંભીર સ્વરે કહી દીધું “મારી પાસે આવવાનું જરાયે સાહસ ન કરીશ”
સરદારને આ નારીનો તમાચો વસમો પડ્યો. વનવગડાનો ભીલ તમાચો સહન કરે? મ્યાનમાં રહેલી તલવાર ખેંચી. - નારીને કહેવા લાગ્યો. હું મરદનો દીકરો, હમણાં બતાવી દઉં છું. મારા સામે હાથ ઉગામ્યો? હમણાં તને બતાવી દઉં કહીને સતીને મારવા માટે દોડ્યો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)