________________
સમય ૬૯
એ રુવાંટીઓ શેની બની હશે ?
અનંત પરમાણુઓના બનેલા અનેક બારીક સ્કંધો એકઠા થઈને, એ રુવાંટી બનેલી હશે, તે આગળ ઉપર, સમજેલા હોવાથી અમારી સમજમાં બરાબર આવી ગયું છે.
એટલે ઘણા સ્કંધોનો જથ્થો, તે એક રુવાંટી થઈ. એમ કહો છો ને? ત્યારે, તેમાંના એક સ્કંધને કાપતાં કેટલો વખત લાગ્યો હશે ? સાહેબ ! હવે તો હદ થઈ ! ! કેટલુંક ગણિત કરવું? ઠીક. ત્યારે, સ્કંધ કેવી રીતે બને છે? તે માલૂમ છે ? પરમાણુઓ એકઠા થવાથી સ્કંધ બને છે.
જયારે, એક સ્કંધ કાપતાં કેટલી વાર લાગી હશે ? તે તમે કહી શકતા નથી, તો એક સ્કંધમાં કેટલા બધા પરમાણુઓ હશે ? અને તેમાંના એક પરમાણુથી બીજા પરમાણુને જુદો કરવામાં કેટલો વખત લાગ્યો હશે? તે તો તમે શી રીતે કહી જ શકો ?
ખરેખર, એમાં અમે કાંઈ કહી શકીએ તેમ નથી જ.
ત્યારે એક પરમાણુથી બીજો પરમાણુ છૂટો પડે, તેમાં ઓછામાં ઓછો કેટલો વખત લાગે, તે નક્કી થઈ શકે છે.
એમ ? પરંતુ, સાહેબ ! આ મજબૂત વિદ્યાર્થી બંધુએ જેટલા વખતમાં એક પરમાણુથી બીજો પરમાણુ છૂટો પાડ્યો હશે, તેના કરતાં ઘણો જ મજબૂત માણસ હોય, તો તે તેટલા વખત કરતાં ઓછા વખતમાંયે એકથી બીજા પરમાણુને જુદો પાડી શકે, તો પછી નક્કી કરેલું એ બરાબર કેમ કહેવાય ?
તમારું અનુમાન બરાબર છે. પરંતુ એ બાબત ખ્યાલમાં રાખીને એવું નક્કી કર્યું છે કે, ઘણા જ મજબૂત માણસના જોરથી, કે છેવટે કોઈ તેવા ઝડપી યંત્રના બળથી એક પરમાણુથી બીજો પરમાણુ જુદો પડે, તેમાં જે વખત જાય, તેને પછીથી કોઈ પણ પ્રમાણનો ભાગ ગમે તેટલી સૂક્ષ્મ બુદ્ધિથી પણ કદી કાળે ન આપી શકાય, એવો છેવટનો કોઈ વખત આવે ?